હિસાબ બરાબર કરવા મેં ચિદમ્બરમને જેલ નથી મોકલ્યાઃ અમિત શાહ
હિસાબ બરાબર કરવા મેં ચિદમ્બરમને જેલ નથી મોકલ્યાઃ અમિત શાહ
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા મામલે તિહાર જેલમાં બંધ છે. પી ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીની પાછળ વિપક્ષ સતત ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતું રહ્યું છે અને આરોપ લગાવતું રહ્યું છે કે તેમણે બદલાની રાજનીતિ અંતર્ગત પી ચિદમ્બરમને જેલ મોકલ્યા છે. પરંતુ આ તમામ આરોપો પર પલટવાર કરતા અમિત શાહે કહ્યું કે ઈડી અને સીબીઆઈ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ નથી કરતાં.
હિસાબ બરાબર કરવા જેલ નથી મોકલ્યા
અમિત શાહે કહ્યું કે તેમણે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને હિસાબ બરાબર કરવા માટે જેલ નથી મોકલ્યા. શાહે કહ્યું કે તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડી ગૃહ મંત્રાલય અંતર્ગત કામ નથી કરતાં, બંને ગૃહ મંત્રાલય સાથે જોડાયેલ નથી. એક ટીવી કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા તો સીબીઆઈ તેમના અંતર્ગત નહોતું આવતું, હવે હું ગૃહમંત્રી છું તો પણ સીબીઆઈ મારા અંતર્ગત નથી.
બંને કેસના આરોપમાં કોઈ સંબંધ નથી
અમિત શાહે આ દરમિયાન 2010માં થયેલ એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેઓ આરોપી હતા. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે અમિત શાહે જેલ પણ જવું પડ્યું હતું. જે બાદ તેમને ગુજરાત છોડવાની શરતે જામીન મળ્યા હતા. અમિત શાહે કહ્યું કે હું ભ્રષ્ટાચારનો આરોપી નહોતો. મારા પર ફેક એન્કાઉન્ટરનો આરોપ હતો. તેમણે કહ્યું કે તેમના મામલામાં અને ચિદમ્બરમના ભ્રષ્ટાચારના મામલામાં કોઈ સંબંધ નથી.
ચિદમ્બરમ ખોટો આરોપ લગાવી રહ્યા છે
ગૃહમંત્રીએ કહ્યું કે બંને મામલાના કોઈ આપસી સંબંધ નથી. મારી સરકાર પાછલા પાંચ વર્ષોથી કામ કરી રહી છે. પાછલા પાંચ વર્ષથી તપાસ ચાલી રહી છે. હવે ચિદમ્બરમ આ મામલે પકડાઈ ગયા તો તેઓ આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે. જો તેઓ નિર્દોષ હોય તેવું વિચારી રહ્યા હોય તો કોર્ટમાં પોતાનો પક્ષ રાખે.
હરિયાણામાં પીએમ મોદીએ કોંગ્રેસને પૂછ્યું- આખરે તમને 370 આટલું બધું કેમ પસંદ છે