'સલમાન ખુર્શીદ ચોર છે'ના સુત્રોચ્ચારથી થયું સ્વાગત
સલમાન ખુર્શીદ અને તેમના પત્ની લુઇસ ખુર્શીદના મૌલાના આઝાદ ટ્રસ્ટમાં વિક્લાંગોને સહાયના નામે પૈસા પડાવવાનો આરોપ લગાવવામાં આવતા દેશની જનતા હાલ સલમાન ખુર્શીદ વિરુદ્ધ થઇ ગઇ છે. એક ટીવી ચેનલ દ્વારા ખુર્શીદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો, જેને હથિયાર બનાવી કેજરીવાલ મેદાને જંગમાં નિકળી પડ્યાં.
કેજરીવાલે શુક્રવારે દિલ્હીના માર્ગો પર પ્રદર્શન કર્યું. જે દરમિયાન પોલીસે તેમની અને તેમના સમર્થકોની ધરપકડ કરી હતી. રવિવારે ફરી એકવાર કેજરીવાલ રસ્તા પર રેલી કરવા નિકળી પડ્યાં છે. તેમની રેલી હાલ સંસદ માર્ગ પર પહોંચી છે, જ્યાં મોટી માત્રામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. રેલીમાં મોટી સંખ્યામાં વિક્લાંગ જોડાયા છે, જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરતા પહેલાં સોવાર વિચાર કરવો પડશે.
બીજી તરફ એરપોર્ટ પર થયેલા વિરોધ વચ્ચે ખુર્શીદ કારમાં બેસીને સીધા ઘરે જતા રહ્યાં છે, ઘરની બહાર પણ લોકો તેમનો વિરોધ કરી રહ્યાં છે. આઇએસીના કાર્યકર્તાઓએ સલમાન ખુર્શીદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં છે. મીડિયાએ જ્યારે પ્રશ્નો કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમણે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ કરવામાં આવશે તેમ જણાવીને તમામ મુદ્દે પોતાની સ્પષ્ટતા કરશે તેમ કહ્યું છે.
આ તરફ કેજરીવાલે કહ્યું છે કે તેઓ પણ એક વાગ્યા પત્રકાર પરિષદ યોજી ખુર્શીદને પાંચ પ્રશ્નો કરશે. આ પહેલા ફ્લાઇટમાં બેસતા પહેલાં લંડનમાં મીડિયાને કહ્યું કે, કેજરીવાલ બ્લેકમેઇલર છે અને થર્ડ ગ્રેડ માણસ છે.