રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે ભારત:માનવાધિકારની શીખની જરૂર નથી
રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે ભારતનો જવાબ
રોહિંગ્યા મુસલમાનોને પરત મેકલવાના સવાલ પર ભારત સરકારે જવાબ આપતા કહ્યું છે કે, કોઇ ભારતને માનવ અધિકારના પાઠ ન ભણાવે. રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર ઇમિગ્રંટ્સ છે અને કાયદા અનુસાર તેમને બહાર કાઢવા જોઇએ. આ મામલે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, કોઇ પણ ભારતને માનવ અધિકાર અને શરણાર્થીઓની સુરક્ષા અંગે શીખ ન આપી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી રોહિંગ્યા મુસલમાનોને બહાર કાઢવાના પ્રસ્તાવના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને આને બંધારણના અધિકારોનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું હતું.
મ્યાનમારમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસલમાનો જર્જરિત કેમ્પોમાં રહી રહ્યાં છે. તેમની હાલત ઘણી દયાજનક છે અને તેમને ભેદભાવ અને દુર્વ્યવહારનો સામનો કરવાનો વારો આવ્યો છે. વર્ષ 2012થી મ્યાનમારમાં હિંસાના બનાવો બની રહ્યા છે, પરંતુ 25 ઓગસ્ટના રોજ મ્યાનમારમાં મોંગડોવ સીમા પર કેટલાક પોલીસ અધિકારીઓનું મૃત્યુ થયા બાદ ત્યાંની સરકારે વ્યાપક ઓપરેશન હાથ ધર્યું હતું. કહેવાઇ રહ્યું છે કે, અત્યાર સુધીમાં મ્યાનમારમાં 400થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. આ કારણે મ્યાનમારની સેના પર મનાવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ પણ મુકવામાં આવ્યો છે. મ્યાનમારમાં થયેલ આ હિંસાના મામલે અનેક મુસ્લિમ દેશોએ મ્યાનમારની સરકાર સાથે વાત કરી છે.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, આ હિંસા 25 ઓગસ્ટના રોજ શરૂ થઇ હતી, જેમાં રોહિંગ્યા મુસલમાનોએ ડઝનબંધ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ લડાઇમાં ઘણા પોલીસ કર્મચારીઓને ઇજા થઇ હતી અને આ હિંસાના પરિણામે મ્યાનમારમાં સ્થિતિ વધુ ખરાબ થઇ છે. મ્યાનમારમાં બૌદ્ધ આબાદી બહુસંખ્યક છે અને લગભગ 11 લાખ રોહિંગ્યા મુસલમાનો છે. કહેવાય છે કે, આમાંથી મોટા ભાગના ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી મ્યાનમાર સ્થળાંતરિત થયા છે અને ઘણા વર્ષોથી અહીં રહી રહ્યાં છે. મ્યાનમારની સરકાર દ્વારા તેમને નાગરિકતા આપવાની વાત નકારવામાં આવી છે. છેલ્લા 5-6 વર્ષોથી અહીં સાંપ્રદાયિક હિંસાના બનાવો બની રહ્યાં છે, રોહિંગ્યા મુસલમાનોને મોટા પાયે ભેદભાવ અને દુર્વયવહારનો સામનો કરવાનો વારો આવ્યો છે.