પાક સેના બની નાપાક : ભારતીય જવાનોની ક્રુર હત્યા : પાકના હાઇકમિશનરને ભારતનું સમન્સ

આ કમકમાટીભરી ઘટનામાં ભારતીય લશ્કરના જવાનો લાંસ નાયક હેમરાજ અને સુધાકર સિંહ શહીદ થયા છે. આ ઘટનાને પગલે ભારતે આ ઘટના પર કડક પ્રતિક્રિયા દર્શાવતાં પાકિસ્તાન હાઈ કમિશ્નર સલમાન બશીરને સમન્સ મોકલી આપ્યું છે. જ્યારે લેફ્ટનેન્ટ વિનોદ ભાટિયા આજે પાકિસ્તાનનાં જનરલ અશફાક સાથે વાર્તાલાપ કરશે. આર્મી ચીફ વી.કે.સિંહ આ મામલાની સમીક્ષા કરશે અને બાદમાં રક્ષામંત્રી એકે એન્ટોનીને રિપોર્ટ સોંપવામાં આવશે.
ભારતના વડાપ્રધાને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગોળીબાર પર ગૃહ મંત્રાલય, એનએસએ અને સેના પ્રમુખ પાસે તત્કાળ અહેવાલ માંગ્યો છે. સુરક્ષા મુદ્દે કેબિનેટ સમિતિની બેઠક પણ બોલાવી શકાય તેવી શક્યતા છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે પાકિસ્તાની હાઈકમિશ્નર બપોર સુધીમાં હાજર રહે તેવી શક્યતા છે.
ભારત સરકારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારને ઉશ્કેરણીજનક ગોળીબાર ગણાવી નિંદા કરી હતી. રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા સતાંશુ કરનાં નિવેદન પ્રમાણે, આ ઘટના બાદ બંને દેશોનાં મિલિટ્રી ઓપરેશન્સનાં મહાનિર્દેશક એકબીજાનાં સતત સંપર્કમાં છે અને ભારત સરકાર પણ પાકિસ્તાન સરકાર સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે. આ ઘટના બાગ બોર્ડર પર ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે.
આ ગોળીબાર પહેલાં રવિવારે સવારે ઉડી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ઘણાં ઘરોને નુકશાન થયું હતું. જો કે તે સમયે પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે તેમનો એક સૈનિક ભારત તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં શહીદ થયો છે.
દરમિયાન સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટનીએ જણાવ્યું છે કે, પાકિસ્તાનનું આ કૃત્ય ભારતીયોમાં ગુસ્સો પેદા કરનારું છે અને આ બાબતે તેઓ પાકિસ્તાન સરકાર અને આપણા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ(DGMO) સાથે વાતચીત કરશે. અમે પાકિસ્તાન આર્મી દ્વારા કરવામાં આવતી ક્રૂર હત્યાઓને ચલાવી લઇશું નહીં. પાકિસ્તાન અમારી સહનશક્તિની પરીક્ષા ન લે.
સીઝફાયરની અવગણના
પાકિસ્તાની આર્મી દ્વારા સીઝફાયરની વાતને અવગણીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વાતાવરણને જાણવા માટે એલઓસીની અંદર ભારતીય સાઇડમાં પાકિસ્તાની આર્મી મોકલવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાની અંદર પાકિસ્તાન આર્મી દ્વારા ડઝનેક વખત સીઝફાયર એગ્રીમેન્ટને તોડવામાં આવ્યું છે. આ બનાવો મોટા ભાગે રાજૌરી, યુરી અને કેરણ વિસ્તારમાં જોવા મળી રહ્યાં હોવાનું આર્મી અધિકારીઓએ જણાવ્યું છે.
વર્ષ 2012માં પાકિસ્તાને 71 કોર્સ બોર્ડર ફાયરિંગ કર્યા છે. વર્ષ 2011માં 51, વર્ષ 2010માં 44 અને વર્ષ 2009માં પાકિસ્તાને 28 ક્રોસ બોર્ડર ફાયરિંગ કર્યા હતા. આમ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન તો કર્યું જ છે સાથે ક્રોસ ફાયરિંગમાં પણ વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે નાપાક પાકિસ્તાને તેના બદઇરાદાઓને પૂરા કરવા માટે જમ્મુ-કાશ્મીરના સામ્બા વિસ્તારમાં 400 મીટર લાંબી ટનલ ખોદી કાઢી હતી. 28 જુલાઇ, 2012ના રોજ પકડાઇ ગયેલી આ ટનલના વિરોધમાં 31 જુલાઇએ વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.
રક્તરિંજિત ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે 1999માં કારગિલ યુદ્ધની શરૂઆતમાં પાકિ્સ્તાની સૈનિકોએ આ જ રીતે શરૂઆત કરી હતી અને કેપ્ટન સૌરભ કાલિયા અને તેમનાં પાંચ સાથીઓની હત્યા કરી હતી. કેપ્ટન કાલિયાના પિતા હજુ સુધી ન્યાય માટે લડી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
