ભારતીય રેલવે તત્કાલ ટિકિટના મુસાફરો માટે એક્સ્ટ્રા ટ્રેન દોડાવશે
આપ વેકેશનમાં બહારગામ જવાનું વિચારતા હોવ અને રેલવેની ટિકિટના બુકિંગમાં મોડું થથઇ ગયું હોવાથી હવે કન્ફર્મ ટિકીટ મળવાની શક્યતા નહીંવત હોવાનું લાગતું હોય તો પણ કદાચ તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. કેમ કે જે લોકોએ વેઇટિંગમાં ટિકિટો મેળવી છે અથવા તત્કાલમાં વેઇટિંગ ટિકિટ મેળવવાની આશા રાખે છે તેમની ટિકિટો કન્ફર્મ થઈ શકે એ રીતે લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવેને મોકલવામાં આવ્યો છે.
રેલવે ર્બોડ (એન્જિનિયરિંગ)ના મેમ્બર અને સેન્ટ્રલ રેલવેમાં જનરલ મેનેજરનો એડિશનલ ચાર્જ સંભાળતા સુબોધ જૈને કહ્યું હતું કે અમે તત્કાલના પેસેન્જરો માટે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે મિનિસ્ટરને આપવાના છીએ. તત્કાલની ટિકિટો માટે વહેલી સવારે આઠ વાગ્યામાં લાઇનમાં ઊભા રહેવા છતાં ભાગ્યે જ કન્ફર્મ ટિકિટ મળે છે. એમાંય વેકેશનમાં તો લોકોની હાલત ખરેખર કફોડી બની જાય છે. અગાઉ ટિકિટ મેળવી લેનારાઓ પણ વેઇટિંગ લિસ્ટમાં 200-300 નંબરે હોય છે.
આ બધી ટિકિટો કન્ફર્મ થઈ જાય એ માટે રેલવેના અધિકારીઓએ કેટલીક નિયમિત ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડવા ઉપરાંત એની પાછળ એ જ રૂટ પર બીજી ટ્રેન દોડાવવાની યોજના વિચારી છે, જેથી અગાઉની અને તત્કાલની બધી વેઇટિંગ નંબરની ટિકિટો કન્ફર્મ થઈ જાય અને લોકો આરામથી પ્રવાસ કરી શકે. રેગ્યુલર ટ્રેનો 20 ડબ્બાની હોય એને બદલે બીજી ટ્રેન 15થી 18 ડબ્બાની જ રહેશે.