Indus waters treaty : સિંધુ નદીના પાણી મુદ્દે પાકિસ્તાની પીએમનો બફાટ, જાણો શું કહ્યું?
Indus waters treaty : પાકિસ્તાનના રાજકીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે, પરંતુ આ વખતે મુદ્દો પરમાણુ શક્તિ નહીં પરંતુ પાણી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર બંનેએ ભારતને સિંધુ નદીના પાણીને રોકવા સામે બફાટ કર્યો છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે જળ વિવાદ ચરમસીમાએ છે.

ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને ધમકી આપતા કહ્યું કે, જો ભારત સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાનને એક ટીપું પાણી પણ નહીં મળે. હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તમે અમારા પાણીને રોકવાની ધમકી આપો છો તો યાદ રાખો કે તમે પાકિસ્તાનનું એક પણ ટીપું પાણી છીનવી શકશો નહીં. જો ભારત આવું કરશે તો તેને એવો જવાબ મળશે કે તે કાન પકડી લેશે.
વડાપ્રધાનના આ નિવેદન પછી તરત જ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે ફ્લોરિડામાં પાકિસ્તાની સમુદાયને સંબોધિત કરતા વધુ ઉગ્ર ધમકી આપી.
તેમણે કહ્યું કે, અમે રાહ જોઈશું કે ભારત બંધ બનાવે અને જ્યારે તે આવું કરશે, તો અમે તેને નષ્ટ કરી દઈશું. આ નિવેદન પાકિસ્તાનની અંદરની નબળાઈ અને હતાશા દર્શાવે છે.
નિષ્ણાતો માને છે કે પાકિસ્તાની નેતાઓ દ્વારા આ પ્રકારના આક્રમક નિવેદનો તેમની આંતરિક નબળાઈઓ અને આર્થિક સંકટથી લોકોનું ધ્યાન હટાવવા માટે છે.
શાહબાઝ શરીફના નિવેદનના એક દિવસ પછી પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ સમાન નિવેદનો આપ્યા અને સિંધુ જળ સંધિના ભંગને સિંધુ ખીણની સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો. તેમણે ધમકી આપી કે જો ભારત તેમને યુદ્ધ માટે મજબૂર કરશે તો પાકિસ્તાન પીછેહઠ નહીં કરે.
ભારતે પાકિસ્તાનના આ પ્રકારના નિવેદનોને ગંભીરતાથી લીધા છે, ખાસ કરીને જ્યારે તે પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરફથી આવે. ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદનોને ચિંતાનો વિષય ગણાવ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાનમાં સેના અને આતંકવાદી જૂથો વચ્ચેના સંબંધો પરમાણુ કમાન્ડ અને કંટ્રોલની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સામે ઝુકશે નહીં અને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે.












Click it and Unblock the Notifications
