ઇન્ટેલિજન્સ બ્યુરોની ચેતવણી : ગુજરાત, મહારાષ્ટ્રમાં ઇન્ડિયન મુજાહિદ્દીન સક્રિય થઇ શકે છે
નવી દિલ્હી, 12 જુલાઇ : ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી - IB)એ ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસને ચેતવણી આપી છે. આઇબીએ જણાવ્યું છે કે આ બંને રાજ્યોમાં ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ - IM) ફરી સક્રિય બની શકે છે. તેમના સભ્યો ફરી એક થઇને ગમખ્વાર ઘટનાને અંજામ આપી શકે છે. શક્ય છે કે ગુરુવારે પુનામાં થયેલો બોમ્બ વિસ્ફોટ મોટા આતંકવાદી હુમલાનો નાનકડો અભ્યાસ હોઇ શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની નિમણૂંક અંગે પોતાના વલણ અંગેનો સંદેશો મોકલવા માંગે છે. ઇન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર 'તેમની પાસે ચોક્કસ માહિતી છે IM આ બંને રાજ્યોના સુરક્ષા દળોને નિશાન બનાવવા માંગે છે.'
આ અંગે ઇન્ટેલિજન્સ ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'IMએ પોતાના સ્લીપર સેલને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સક્રિય કરી છે. આ સંબંધિત અન્ય માહિતી અમે બંને રાજ્યોની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચને આપી દીધી છે. અમારી પાસે એવી પણ માહિતી છે કે આતંકવાદી જૂથ આ રાજ્યોની પોલીસને પણ પોતાનો ટાર્ગેટ બનાવી શકે છે.'
નોંધનીય છે કે ગુરુવારે પુનામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકો ઘવાયા હતા. આ વિસ્ફોટ કરવા માટે એલ્યુમિનિયમ નાઇટ્રેટ, ટાઇમર અને ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ વિસ્ફોટ હળવો હતો. આઇબીનું કહેવું છે કે આ વિસ્ફોટ સિક્યુરિટી ફોર્સની હલચલનો ખ્યાલ મેળવવા માટે કરવામાં આવ્યો હતો. આ માટે 30થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવામાં આવ્યા હતા. આ ચેતવણી 15 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે.