Game Over: આતંકવાદી કસાબને ફાંસીએ ચડાવાયો
ડૉક્ટરોએ અજમલ કસાબને મૃત જાહેર કર્યો છે. અજમલ કસાબને સોમવારે પુણેની જેલમાં લાવવામાં આવ્યો હતો. અજમલ કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતો, જ્યાંથી તેને પુણેની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ મુંબઇ 26/11 હુમલાના ગુનેગાર આમિર અજમલ કસાબની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢી હતી.
રાષ્ટ્રપતિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ બાદ અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢી હતી. અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢવાના તમામ દસ્તાવેજો પર રાષ્ટ્રપતિની સહીઓ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને દયા અરજીને નકારી કાઢ્યાના બે મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયની ટુકડીના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માધ્યમથી પોતાની ભલામણ મોકલી હતી.
સૂત્રોના દ્રારા મળતી માહિતી મુજબ અજમલ કસાબને આર્થર રોડ જેલથી યરવડા જેલમાં કડક સુરક્ષા વચ્ચે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચાર વર્ષથી અજમલ કસાબ આર્થર રોડ જેલમાં બંધ હતો અને લગભગ તેની પાછળ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. અજમલ કસાબને 26/11 મુંબઇ હુમલામાં દોષી ગણવામાં આવ્યો હતો. આ હુમલો 2008માં થયો હતો. અજમલ કસાબ અને તેના 10 સાથીઓ સમુદ્ર માર્ગે આતંકી હુમલા માટે મુંબઇ આવ્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પણ કસાબને ફાંસી આપવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 29 ઑગષ્ટ 2012ના રોજ સુપ્રિમ કોર્ટે અજમલ કસાબને ફાંસીની સજા સંભળાવી હતી. આતંકવાદી અજમલ કસાબને આર્થર રોડ જેલના સૌથી સુરક્ષિત સેલમાં રાખવામાં આવ્યો હતો. મુંબઇ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતા.
કસાબની સામેનો કેસ લડનાર ઉજ્જવલ નિકમે આ પગલાને આવકાર્યું છે. તેમના કહેવા પ્રમાણે, આ સજાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કડક સંદેશ જશે કે ભારત ટેરર માટે સોફ્ટ દેશ નથી.