જગદીશ ટાયટલર કેસ : કોંગ્રેસ કોઇને રક્ષણ નહીં આપે!
મોઈલીએ એમ પણ જણાવ્યું હતું કે રમખાણોમાં ભોગ બનેલાઓ માટે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે કોઈને રક્ષણ નહીં આપીએ. કાયદો પોતાની રીતે કામ કરશે. આ રમખાણોના મામલે છેક 1985-86માં જ કોંગ્રેસની નેતાગીરી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ચૂકી છે.
મોઈલીએ તેમ છતાં કહ્યું કે ટાયટલર સામેનો આરોપ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામેના આરોપ કરતાં ગંભીર નથી. મોદીએ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના મામલે પોતાને સ્વચ્છ સાબિત કરવા એકેય પગલું લીધું નથી.
ગયા બુધવારે દિલ્હીની કોર્ટે પોતાના રૂલિંગમાં જણાવ્યું હતું કે સિખ વિરોધી રમખાણોના મામલે ટાયટલર સામેના કેસમાં સીબીઆઈએ ઉપલબ્ધ સાક્ષીઓની જુબાની લીધી નહોતી. દિલ્હીની કોર્ટે ટાયટલરને 29 વર્ષ જૂના કેસમાં ક્લીન ચીટ આપતા સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને રદ કર્યો છે અને ત્રણ વ્યક્તિની હત્યામાં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.