રાજૌરીમાં આતંકીઓએ કરી નિર્દોષની હત્યા, આખા વિસ્તારમાં શરુ કરાયુ સર્ચ ઑપરેશન
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કુંડા ટૉપમાં મોહમ્મદ રઝીકને ગોળી મારવાના સમાચાર સામે આવ્યા છે. રાજૌરી પોલીસે માહિતી આપી છે કે ગોળીબાર દરમિયાન મોહમ્મદ રઝીકને ગોળી વાગી હતી. રઝીકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.
સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાકર્મીઓએ હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રઝીકનો ભાઈ ટેરિટોરિયલ આર્મીમાં સૈનિક છે. ઘટના બાદ મોટા પાયે ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા 17 એપ્રિલે અનંતનાગમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
બિજબેહારા વિસ્તારના જબલીપોરામાં રાજા શાહ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. હૉસ્પિટલમાં કામદારનું મોત થયું હતું. મૃતક કામદારની ઓળખ બિહારના રહેવાસી શંકર શાહના પુત્ર રાજા શાહ તરીકે થઈ હતી. રાજાને ગરદન અને પેટમાં બે-બે ગોળી વાગી હતી. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે શોક વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ આ આતંકવાદીઓ આ ઈચ્છતા નથી. આપણે બધાએ આ કૃત્ય સામે એક થવું પડશે. જ્યારે મહેબૂબા મુફ્તીએ આ ઘટનાની નિંદા કરી હતી અને તેને અસંવેદનશીલ કૃત્ય ગણાવ્યું હતું. તેમણે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
