રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો જયલલિતાનો નિર્ણય
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રમાં સાત દોષિઓને તમિલનાડુ સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પેરારિવલન, મુરુગન, સંથનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે જ આ ત્રણેયને ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી હતી. બાકીના ચાર દોષીઓના નામ રોબર્ટ, રાજકુમાર, નલિનિ અને રવિચંદ્રન છે.
મંગળવારે સુપ્રીમ કોર્ટે ફાંસીમાં મોડું થવાને આધાર બનાવીને સંથન, મુરુગન અને પેરારિવલનની ફાંસીને ઉંમરકેદમાં ફેરવી નાખી હતી. કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખતા તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ સાતેય દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જયા સરકારે જણાવ્યું કે કેન્દ્ર ત્રણ દિવસની અંદર આ અંગે નિર્ણય લઇ લેશે અને સાતેય દોષીઓને મુક્ત કરી દેવામાં આવશે.
આ સમાચારના સામે આવ્યા બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે એકતરફી નિર્ણય પર વાંધો ઉઠાવ્યો, પરંતુ રાજ્ય સરકારે ત્યારબાદ કેન્દ્રને એક પત્ર પાઠવ્યો અને જણાવ્યું કે તેઓ આ નિર્ણય પર મંજૂરીની મોહર લગાવે. રાજ્ય સરકારે આના માટે કેન્દ્ર સરકારને 3 દિવસનો સમય આપ્યો છે.
મુક્ત કરવામાં આવનાર દોષીઓમાં મહિલા નલિની શ્રીહરનનો પણ સમાવેશ થાય છે, જે સુપ્રીમ કોર્ટથી રાહત મેળવનાર ત્રણમાંથી એક હત્યારા મુરુગનની પત્ની છે. નલિનીની ફાંસીની સજાને પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની દખલગીરીથી જનમટીપમાં પરિવર્તિત કરવામાં આવી ચૂકી હતી.