જેડીયુ ભાજપને પીએમ દાવેદારનું નામ જાહેર કરવા દબાણ કરશે
આ મુદ્દે JDUના નેતાઓ હજી સુધી એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી પણ દિલ્હીમાં શનિવારે મળી રહેલી પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં આ અંગેની ચર્ચા થશે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો સખત વિરોધ પણ નોંધાવવામાં આવશે.
આ અંગે JDUના પ્રમુખ શરદ પવારે સીધી વાત કરવાની ના પાડી દીધી છે. તેમણે જણાવ્યું છે કે "અમે અત્યાર સુધી ક્યારેય પણ બિનસાંપ્રદાયિકતાના મુદ્દે બાંધછોડ કરી નથી. આગળ પણ કરીશું નહીં." બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવારનો મુદ્દો અને ભાજપમાં વધી રહેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું કે "અમે કોઇ પણ મુદ્દે ચર્ચા કરવા માટે વાડ બાંધી નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા શક્ય છે. પણ અમે અત્યારે પાર્ટી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે અંગે અત્યારથી શું કહી શકીએ."
પાર્ટી પ્રમુખ શરદ પવારનું નરેન્દ્ર મોદીના મુદ્દે મૌન સૂચવે છે કે પાર્ટીમાં આ મુદ્દે મોટી ઘમાસાણ ચાલી રહી છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ BJPના નેતાઓ સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે યોજેલી હારબંધ બેઠકોને કારણે JDUના પેટમાં તેલ રેડાયું છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે.
ઉલ્લેખનીય છે કે JDUના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી છે. જેના કારણે BJP નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે તો JDU અને BJPના જોડાણનો અંત આવે તેવી શક્યતાઓ પણ ઉભી થઇ છે.