જોધપુરથી ઇન્ડિયન મુઝાહિદ્દીનનો વધુ એક આતંકી ગિરફ્તાર
જોધપુર, 25 માર્ચ: ઇન્ડિયન મુઝાહિદ્દીનના શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ સાકિબ અંસારીના કથિત સાથી બરકત અલીની આજે અત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. અલી રવિવારના રોજ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો અને પોલીસના ઘણા દળો તેને પકડવા માટે ગતિમાન થઇ ગયા હતા.
જ્યારે બીજી એક ઘટનામાં દિલ્હી પોલીસની ખાસ બ્રાંચ ઇન્ડિયન મુઝાહિદ્દીનના સરગના તહસીન અખ્તર ઉર્ફ મોનૂની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે. મોનૂ ઘણા આતંકવાદી હુમલામાં સંડોવાયેલો છે.
રિપોર્ટો અનુસાર યાસીન ભટકલની ધરપકડ થયા બાદ તહસીન અખ્તર ભારત આઇએમના વડા તરીકે કાર્ય કરતો હતો. કહેવામાં આવે છે કે ગયા વર્ષે મોદીની પટણા રેલીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ પણ તેણે જ કરાવ્યા હતા.
ઇન્ડિયન મુઝાહિદ્દીનના શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ સાકિબ અંસારીના કથિત સાથી બરકત અલીની ધરપકડ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'અમને તે આજે સવારે તેના ઘરે પહોંચ્યો છે તેવી સૂચના મળી, ત્યારબાદ પોલીસે તેના ઘરને ચારેય તરફથી ઘેરી લીધું અને તેની ધરપકડ કરી લીધી.'
જોધપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ જોધપુરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાના હતા, અને તેમની યોજનાને અંતિમ રૂપ આપવા માટે વકાસને જોધપુરમાં પહોંચવાનું હતું.
બરકત ભાગવામાં સફળ રહ્યો હતો કારણ કે પોલીસ તેના ઘરે રેડ મારતી એ પહેલા જ તેના સાથી આદિલે તેને સાકિબ અંસારીની ધરપકડ અંગે માહિતગાર કરી દીધો હતો. આદિલને બાદમાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યો અને તેના ઘરેથી શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે દિલ્હી પોલીસ વિશેષ પ્રકોષ્ઠ અને રાજસ્થાન એટીસીના એક સંયુક્ત અભિયાનમાં આઇએમના પાંચ શંકાસ્પદ આતંકવાદી ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.
આવું પહેલીવાર નથી બન્યું કે વિભિન્ન સંગઠનો સાથે જોડાયેલ આતંકવાદી જોધપુરમાં સક્રિય મળી આવ્યા છે. એટીએસએ પાંચ વર્ષ પહેલા સિમીના ત્રણ સભ્યોને જયપુર વિસ્ફોટોના સંબંધમાં ગિરફ્તાર કર્યા હતા.