રમખાણ મુદ્દે ટીકાકાર જજે પીએમ ઉમેદવાર તરીકે મોદીને વખાણ્યા
તિરુઅનંતપુરમ, 19 સપ્ટેમ્બર : વર્ષ 2002ના ગુજરાત રમખાણોની તપાસ કર્યા બાદ તેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારનો હાથ હોવાનો સંકેત આપનારા જસ્ટિસ વી આર કૃષ્ણ ઐયરે હવે પીએમ ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. જસ્ટિસ ઐયરે નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી પીએમ પદના ઉમેદવાર બનાવવાનું સમર્થન કર્યું છે.
ગુજરાત સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ (17 સપ્ટેમ્બર)ના અવસરે જસ્ટિસ વી આર કૃષ્ણ ઐયર તરફથી મોકલવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિવેદન અનુસાર ચિઠ્ઠીમાં જાણીતા ન્યાયવિદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ વી આર કૃષ્ણ ઐયરે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના સારા ઉમેદવાર ગણાવીને તેમની સફળતા માટે ઇચ્છા વ્યક્ત કરી છે.

સરકારી નિવેદનમાં જસ્ટિસ ઐયરના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છેકે નરેન્દ્ર મોદી સમાજવાદ અને ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ માટે હું તેમનું સમર્થન કરું છું. જસ્ટિસ ઐયરના જણાવ્યા અનુસાર તેઓ અનુભવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીમાં રાષ્ટ્રવાદના સકારાત્મક ગુણ છે. તેમણે માનવ અધિકારના મૂલ્યો, બાઇચારા અને ન્યાયની રક્ષા માટે પણ મોદીની સરાહના કરી છે.
જસ્ટિસ ઐયરે જણાવ્યું કે તેમનું માનવું છેકે ભારતમાં પરમાણુ ઉર્જા હોવી જોઇએ નહીં. તેમની નીતિ 'પરમાણુ ક્યારેય નહીં, સૌર ઉર્જા હંમેશા' વાળી છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મીડિયાના અહેવાલો અનુસાર જાપાનના ભૂકંપ બાદ તેણે પોતાનું પરમાણુ રિએક્ટર બંધ કરી દીધું છે. મોદી પણ સૌર ઉર્જાના સમર્થક છે. સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં જેટલું કામ થયું છે તેટલું અન્ય રાજ્યોમાં થયું નથી.
તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પણ અને આપણા દેશના બંધારણમાં પણ શરાબની વિરુધ્ધ વાતો કહેવામાં આવી છે. શરાબને એવી ખરાબ બાબત ગણાવવામાં આવી છે કે તેનાથી ભારતીયોનું પતન થશે. ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે. મોદીએ ગુજરાતમાં તેના પર અમલ ટકાવી રાખ્યો છે. જસ્ટિસ ઐયરે જણાવ્યું કે મારી જાણકારી અનુસાર ગુજરાતમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આથી હું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાની તક મળવા બદલ શુભેચ્છા પાઠવું છું.












Click it and Unblock the Notifications
