Karnataka Election : રાહુલ ગાંધી મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરશે

નવી દિલ્હી : ઈલેક્શન કમિશને કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. હવે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે ત્યારે કોંગ્રેસ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, મોદી પર વિવાદિત નિવેદન આપી સજા પામેલા રાહુલ ગાંધી હવે આ નિવેદન આપ્યુ ત્યાંથી જ કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
રાહુલ ગાંધી એપ્રિલમાં કર્ણાટક ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી એ જ જગ્યાએથી રેલી શરૂ કરવા જઈ રહ્યા છે જ્યાં તેમણે મોદી સરનેમ પર વિવાદિત ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધી 5 એપ્રિલથી કોલારમાં પહેલી રેલી યોજશે. આ રેલીમાં રાહુલ ફરીથી આક્રમક જોવા મળશે તેવી આશા છે. આ વખતે અદાણીને મુદ્દો બનાવીને લોકો સામે જશે.
રાહુલ ગાંધીની આગામી રેલી વિશે વાત કરતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે જણાવ્યુ કે, રાહુલ ગાંધી કોલારમાં તેમની સત્યમેવ જયતે રેલીની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે અમે તેમને અહીંથી ચૂંટણી યાત્રા શરૂ કરવા વિનંતી કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, 2019 ચૂંટણી દરમિયાન કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને નીરવ મોદી સંદર્ભે વડા પ્રધાન મોદી પર સ્પષ્ટ કટાક્ષ કરતા કહ્યું કે કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે. પરંતુ ભાજપે આને અન્ય પછાત વર્ગોના અપમાન તરીકે જોયું અને ગુજરાત સ્થિત પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ દાવો દાખલ કર્યો હતો.
રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણી માટે કોર્ટમાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તેમને બે વર્ષની જેલની સજા થઈ છે. તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે જેના કારણે ભારે વિરોધ થયો હતો.












Click it and Unblock the Notifications
