Karnataka Election : કોણ છે હાઈકોર્ટ દ્વારા નિલંબિત MLA ગૌરી શંકર? જાણો કેમ હાઈકોર્ટે કાર્યવાહી કરી?
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા જેડીએસને કર્ણાટક હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે આદેશ કરતા જનતા દળ(એસ)ના ધારાસભ્ય ડી.સી.ગૌરીશંકરને નકલી વીમા બોન્ડથી મતદારોને લોભાવવાના આરોપમાં ગેરલાયક ઠેરવ્યા છે. ગૌરીશંકરને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ સુનીલ દત્ત યાદવની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આ આદેશ પર એક મહિના માટે રોક લગાવી છે. જેનાથી ધારાસભ્યને તાત્કાલિક રાહત મળી છે અને તે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.

નકલી વીમા યોજનામાં લોકોને ફસાવ્યા
2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગૌરીશંકરે મારુતિ સેવા ટ્રસ્ટ તરફથી વૃદ્ધો અને બાળકોને નકલી વીમા બોન્ડનું વિતરણ કર્યું હતું. મારુતિ સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ ગૌરી શંકરના પરિવારના સભ્યો છે. ભાજપના નેતા સુરેશ ગૌડાએ ધારાસભ્ય વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને કોર્ટે હવે ચુકાદો આપ્યો છે. ગૌરીશંકર હાલ તુમકુરુ ગ્રામીણ મતવિસ્તારના ધારાસભ્ય છે.

MSIL ફાઉન્ડેશનના પ્રમુખ
ગૌરશંકર 2008માં પહેલીવાર મધુગીરીથી ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ તે તુમકુર ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 1500 મતોથી હાર્યા. જો કે 2018ની ચૂંટણીમાં તે 5640 મતોથી અહીંથી જીતીને બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે JDS અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં 6 મહિના સુધી MSIL ફાઉન્ડેશનની અધ્યક્ષતા કરી હતી. તે જેડીએસના પ્રખ્યાત ચહેરાઓમાંથી એક છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. કર્ણાટક વિધાનસભાની મુદત 25 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. રાજ્યમાં ઉમેદવારોના નામાંકનની તારીખ 13મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. જેની છેલ્લી તારીખ 20મી એપ્રિલ છે અને ઉમેદવારો 24મી સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.












Click it and Unblock the Notifications
