Karnataka elections: મતદારોને લોભામણી ઑફરોમાં કુકર, ડિનર સેટ, ગિફ્ટ સાથે હજ અને ધાર્મિક યાત્રા પણ
Karnataka elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો કોઈ કસર છોડવા માંગતા નથી. મોટી-મોટી રેલીઓ અને જનસભાઓ ઉપરાંત ગઈ વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ રાજકીય પક્ષો મતદારોને લુભાવવા માટે વિવિધ પ્રકારની ભેટો જેવી કે પ્રેશર કુકર, ઘડિયાળ, વીમા પૉલિસી વહેંચી રહ્યા છે. અમુક પક્ષોના નેતાઓ તો ધાર્મિક યાત્રાઓની ઑફર પણ આપી રહ્યા છે. જેમાં દેશ ઉપરાંત ઉમરાહ અને હજ માટે મક્કાની યાત્રા પણ સામેલ છે.

આ ચૂંટણીમાં જાણે મતદારોને મફતના પેકેજની લાલચ આપીને પોતાની તરફેણમાં કરવા માટે નેતાઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. મતદારોને બેચમાં મોકલવા માટે રાજકીય પક્ષો આખા મહિનાથી ખાનગી બસોનું બુકિંગ કરી રહ્યા છે. રાજકીય પક્ષોને આ મતદારો સાથે જોડવાનો સૌથી શક્તિશાળી માર્ગ લાગી રહ્યો છે.
કોંગ્રેસના નેતા સમીર અહેમદ તેમના મત વિસ્તારના લોકોને મક્કાની યાત્રા પર લઈ જઈ રહ્યા છે. તેની પાછળનો તર્ક એ છે કે તેઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન કરેલા સારા કામ માટે તેમને તીર્થયાત્રા પર મોકલવાનુ વચન પૂર્ણ કરી રહ્યા હતા. સમીર અહેમદે અત્યાર સુધીમાં 17 લોકોને સાઉદી અરેબિયા મોકલ્યા છે, તેમણે કહ્યુ કે હું ખરેખર માનુ છુ કે તે લોકો માટે સારુ છે.
ભાજપના નેતા એસઆર વિશ્વનાથ, જેઓ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના સભ્ય પણ છે, તેમના મતવિસ્તારમાંથી લગભગ 70 લોકોને દરરોજ તિરુપતિ મંદિરની મુલાકાત લેવા મોકલી રહ્યા છે. જોકે ભાજપના નેતાએ કહ્યુ કે તેને આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. બીજેપી નેતા વિશ્વનાથે તિરુપતિ યાત્રા પર લોકોને મોકલવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ, 'હું બોર્ડનો સભ્ય છું અને હું સુનિશ્ચિત કરુ છું કે મારા વિસ્તારના લોકો સરળતાથી મંદિર સુધી પહોંચી શકે. હું છેલ્લા બે વર્ષથી આવુ કરી રહ્યો છુ.'
નેતાઓ ધાર્મિક મુલાકાતો ઉપરાંત મતદારોને આકર્ષવા માટે કૂકર, ડિજિટલ ઘડિયાળો અને અન્ય ભેટોનુ વિતરણ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં ડિનર સેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. નામ ન આપવાની શરતે મહિલાએ દાવો કર્યો હતો કે તેને ડિનર સેટ લેવા માટે કોલ આવ્યો હતો. પહેલા તેને લાગ્યુ કે આ એક મજાક છે પરંતુ જ્યારે તે તપાસ કરવા ગઈ તો ત્યાં કેટલાક લોકો હતા જેઓ ડિનર સેટ વહેંચી રહ્યા હતા.
કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર મીણાએ વન ઈન્ડિયાને જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચને આ પ્રથાઓ પર કડક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તેને રોકવાના રસ્તાઓ છે. ચૂંટણી અધિકારીએ કહ્યુ કે તમામ એન્ફોર્સમેન્ટ એજન્સીઓની બેઠક બોલાવવામાં આવી છે અને તેમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
રાજકીય વિશેષજ્ઞોના મતે હજુ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ન હોવાથી રાજકીય પક્ષો આ બધુ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના એ હકીકતનો લાભ લઈ રહ્યા છે કે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. આવી સ્થિતિમાં, આદર્શ આચારસંહિતા હજુ અમલમાં આવી નથી, તેથી ચૂંટણી પંચ માટે આ રાજકારણીઓ સામે પગલાં લેવાનુ મુશ્કેલ બનશે.












Click it and Unblock the Notifications
