Exit Polls: કર્ણાટકમાં કોંગ્રેસની લહેર, ભાજપને ભારે નુકસાન
નવી દિલ્હી, 6 મે: 2014માં યોજાનારી ચૂંટણીની ક્વાટર ફાઇનલ ગણવામાં આવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ કરી કોંગ્રેસને શાનદાર જીત સાથે સત્તામાં આવતી જોવા મળી રહી છે. કર્ણાટકમાં એક્ઝિટ પોલના પરિણામ આ ઇશારો કરી રહ્યાં છે. સી વોટર અને ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં નરેન્દ્ર મોદીનું મેજિક ફેલાઇ રહ્યો છે અને યેદિયુરપ્પા ફેક્ટર ભાજપને ભારે પડી શકે છે. રાજ્યમાં તેમની સીટો ધટીને અડધી થઇ જશે, જ્યારે કોંગ્રેસે જોરદાર પ્રદર્શન કરતાં બહુમતનો આંકોડો આરામથી પાર કરી લેશે.
સી વોટરનો એક્ઝિટ પોલ: સી વોટરના એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં કોંગ્રેસને 223માંથી 114 સીટ મળી શકે છે ( અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભાની સીટોમાંથી 223 સીટો માટે મતદાન થયું છે) કોંગ્રેસને 2008ના વિધાનસભાની ચૂંટણીમાં 80 સીટો મળી હતી. આ પ્રમાણે તેને 34 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે. તો સત્તારૂઢ ભાજપને ભારે ઝટકો લાગી શકે છે. એક્ઝિટ પોલના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં ભાજપને કર્ણાટકના એકમાત્ર ગઢ ઢળી પડશે તે નક્કી છે. લિંગાયત સમુદાયના નેતા યેદિયુરપ્પાએ ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાથી પાર્ટીને મોટું નુકસાન થશે.
ભાજપને ગત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી 110 સીટો ઘટીને અડધી એટલે 55 થઇ જશે એવું અનુમાન છે. સી વોટર મુજબ યેદિયુરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી (કેજીપી)ને 11 સીટો મળી શકે છે. જેડી (એસ)ને 34 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન છે.
બીજી તરફ ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ટુડેઝ ચાણક્યના પોલ મુજબ કોંગ્રેસને 132 સીટો મળી શકે છે. કોંગ્રેસના વોટમાં 2 ટકાના વધારા સાથે 37 થવાનું અનુમાન છે, તો બીજી તરફ ભાજપને 38, જેડી (એસ)ને 38 અને યેદિયુરપ્પાની પાર્ટી કેજીપી અને અન્યને 15 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ન્યુઝ ચેનલ સીએનએન-આઇબીએનના અનુમાનો અનુસાર 224 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 110થી 116 સીટો મળી શકે છે, જ્યારે ભાજપને 43 થી 53 સીટો મળી શકે છે. જેમાં જેડીએસને પણ 43 થી 53 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્યને 16 થી 24 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચેનલે કહ્યું હતું કે ભાજપ વિરૂદ્ધ સત્તાવિરોધી લહેરનો પ્રભાવ રહ્યો છે. તેનાથી એક સરકાર વિરૂદ્ધ અને બીજી તટવર્તી કર્ણાટકમાં તેવા ધારાસભ્યો વિરૂદ્ધ રહ્યાં છે જેમને 2 થી 3 કાર્યકાળ પુરા કર્યાં છે. જેથી કોંગ્રેસને ફાયદો થયો છે.