વજુભાઈના સમર્થનમાં આવી કરણી સેના, કૉંગ્રેસના નેતાનું કાળુ મોં કરવા કર્યુ એલાન
ઘણા લોકોએ વજુભાઈ વાળાના નિર્ણયની ટીકા પણ કરી હતી. ત્યારે, રાષ્ટ્રીય કરણીસેના વજુભાઈના સમર્થનમાં આવી છે.
કર્ણાટકના સમગ્ર ઘટનાક્રમનું મુખ્ય કેન્દ્ર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા રહ્યા હતા. રાજ્યપાલ વજુભાઇ વાળાએ સંવિધાનિક મર્યાદાનો દુરપયોગ કરીને યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા અને વિશ્વાસમત જિતવા 15 દિવસનો સમય આપ્યો હતો. પરંતું, સુપ્રીમ કોર્ટે તેમનો આદેશ ફગાવી 48 કલાકમાં બહુમતિ સાબિત કરવા આદેશ આપ્યો હતો. તેના કારણે, રાજ્યપાલ વજુભાઈ વાળા પર માછલાં ધોવાયાં હતાં. ઘણા લોકોએ વજુભાઈ વાળાના નિર્ણયની ટીકા પણ કરી હતી. ત્યારે, રાષ્ટ્રીય કરણીસેના વજુભાઈના સમર્થનમાં આવી છે.
સંજય નિરૂપમ પર કરણીસેના લાલઘૂમ
કર્ણાટકના રાજ્યપાલ અને કારડિયા રાજપુત સમાજના આગેવાન વજુભાઈ વાળા વિશે કોંગ્રેસના નેતા દ્વારા અશોભનીય ભાષામાં ટીપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને કારડિયા રાજપુત સમાજ સહિત કરણીસેના લાલઘુમ થઈ છે. કરણીસેનાએ આ મુદ્દે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વજુભાઇ વાળા માટે અશોભનિય નિવેદન કરનાર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ હાથમાં આવશે ત્યારે મોં કાળુ કરી જૂતાનો હાર પહેરાવવાનું જણાવ્યું હતું. કરણીસેનાએ વજુભાઈના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમના નિવેદનની આકરી ટીકા પણ કરી હતી.
રાજ્યપાલની માફીની કરી માંગ
મહારાષ્ટ્રના કોંગ્રેસના અગ્રણી નેતા સંજય નિરૂપમે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા માટે અશોભનિય ટિપ્પણી કરી હતી. જેને લઇને કરણીસેનામાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કોંગી નેતા માફી નહીં માગે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કરણીસેનાએ ઉચ્ચારી હતી. આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, વજુભાઇ વાળા વિશે થયેલી અશોભનીય ટીપ્પણીને ક્ષત્રિય સમાજ અને કારડિયા રાજપુત સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. આ ટિપ્પણીને લઇ કોંગી નેતાએ સમાજની અને રાજ્યપાલની માફી માંગવી જોઇએ.
ઉગ્ર આંદોલનની કરણીસેનાની ચિમકી
રાજ્યપાલનો હોદ્દો બંધારણીય હોઈ તેની સામે આ પ્રકારની ટિપ્પણી કરવી તે બંધારણનું પણ અપમાન છે. ત્યારે આ માટે કોંગ્રેસના નેતા દ્વારા માફી માંગવામાં નહીં આવે તો સમસ્ત ક્ષત્રિય સમાજ અને કારડિયા રાજપુત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પદ્માવત વખતે કરવામાં આવેલા ખોટા કેસ ગુજરાત સરકાર દ્વારા પાછા ખેંચવામાં નહીં આવે તો રાજકોટથી કોડિનાર સુધી કાર રેલી કાઢવામાં આવનાર હોવાનું પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
કૂતરાની વફાદારી સાથે કરી હતી સરખાણી
કર્ણાટકમાં વિશ્વાસમત પહેલાં યેદિયુરપ્પા સરકારના પતન બાદ, સંજય નિરૂપમે રાજ્યપાલ વજુભાઈ વાળાની સરખામણી કૂતરાની વફાદારી સાથે કરી હતી. સંજય નિરૂપમે ટ્વિટ કરીને, વજુભાઈને નરેન્દ્ર મોદીની વફાદારી કરી બંધારણીય મર્યાદાનો દુરપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેના કારણે, વિવાદ સર્જાયો હતો.
મોદીએ કૂતરાઓ પાસેથી દેશભક્તિ શિખવા આપી સલાહ
જોકે, કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિવેકહિન ભાષણોથી વિવાદમાં રહ્યા હતા. તેમણે, કૉંગ્રેસને કૂતરા પાસેથી દેશભક્તિ શિખવાની સલાહ આપી હતી. કર્ણાટકના મુધોલ કૂતરાઓ પાસેથી દેશભક્તિ શિખવા જણાવ્યું હતું.