પાકિસ્તાનની ચૂંટણીમાં પ્રથમવાર કાશ્મીર મુદ્દો ગાયબ થયો

આ બાબતને લઇને ભારત શાસિત કાશ્મીરમાં અનેક લોકો નારાજ છે. ખાસ કરીને અલગતાવાદીઓનું કહેવું છે કે જે લોકોએ એક સમયે કાશ્મીર સંઘર્ષમાં સાથ આપવાનો વાયદો કર્યો હતો, આજે તો લોકો પીછે હઠ કરી રહ્યા છે. શ્રીનગરમાં અનેક યુવાનોનું કહેવું એવું છે કે તેમને આશા ન હતી કે આ વખતે પાકિસ્તાનની ચૂંટણીઓમાં તેમની ચર્ચા નહીં થાય.
આ અંગે જમ્મુ - કાશ્મીક લિબરેશન ફ્રન્ટના નેતા યાસિન મલિક કહે છે કે આ આંદોલનનો સાથ આપ્યા બાદ પાકિસ્તાન હવે પાછી પાની કરી રહ્યું છે. તેઓ કહે છે કે પાકિસ્તાનના નેતાઓ કાશ્મીરની આઝાદી પર વાત કરે કે ના કરે પણ આ આંદોલન ચાલતુ રહેશે. કાશ્મીરના લોકોને એ પણ યાદ રહેશે કે જેમણે સાથ આપવાનો વાયદો કર્યો હતો, તેમણે અડધા રસ્તે સાથ છોડી દીધો છે.
આ બદલાયેલી સ્થિતિ અને ચૂંટણી રણનીતિ અંગે રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્તાન પોતાની આંતરિક બાબતો સાથે એ હદે ઝઝુમી રહ્યું છે કે હવે કાશ્મીરમાં તેનો કોઇ રસ રહ્યો નથી. એક વર્ગ એમ પણ માને છે કે આ પાકિસ્તાનની નવી રણનીતિ હોય છે.
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસર શેખ શૌકત હુસૈનનું કહેવું છે કે "ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરનો ઉલ્લેખ નહીં થવાનો એ અર્થ નથી કે આ મુદ્દે તેમની પ્રાથમિકતા નથી. પાકિસ્તાનમાં હવે એવી સમજ ઉભી થઇ રહી છે કે કાશ્મીરને ભારત કે પાકિસ્તાનના વિવાદને બદલે કાશ્મીરીઓની સમસ્યાની રીતે જોઇને આગળ વધારવામાં આવે અને કાશ્મીરીઓને આગળ કરવામાં આવે તો કદાચ તેનો કોઇ સાર્થક ઉકેલ નીકળી શકે."
કાશ્મીરમાં 25 વર્ષ પહેલા સશસ્ત્ર અલગતાવાદી આંદોલન પાકિસ્તાનના સમર્થનથી શરૂ થયું હતું. પરંતુ પાકિસ્તાનના બદલાતા વિચારોની વચ્ચે હવે કાશ્મીરમાં પાકિસ્તાનની તરફદારી કરનારા અલગતાવાદી નેતાઓ પણ એકલતાનો શિકાર બની ગયા છે.












Click it and Unblock the Notifications
