શીલા દિક્ષિત પર ફૂટ્યો કેજરીવાલનો 'વિજળી બોમ્બ'
અરવિંદ કેજરીવાલે શુક્રવારે સાંજે પોતાના આ 'વિજળી બોમ્બ' માં જણાવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત અને વિજળી કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ છે. દિલ્હીની પ્રજા સાથે ફ્રોડ કરી વિજળી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનો ફાયદો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ તેમને નુક્સાન થયું હોવાનું રટણ કરી રહ્યાં છે.
તેમણે ડીઇઆરસી દ્વારા કરવામાં આવેલા તપાસના અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ડીઇઆરસી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમાં બહાર આવ્યું હતું કે વિજળી કંપનીઓને 603 કરોડ રૂપિયાનું નુક્સાન નહીં પરંતુ 3577 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. તપાસમાં આ વિગતો બહાર આવ્યા બાદ ડીઇઆરસીએ આદેશ આપ્યા હતા કે વિજળી કંપનીઓ દ્વારા જે ભાવ લેવામાં આવે છે, તેમાં ઘટાડો કરવામાં આવે. જો કે, શીલા દિક્ષિતે તેમાં હસ્તક્ષેપ કરીને આ ભાવ ઘટાડાને આદેશને અટકાવી આડકતરી રીતે વિજળી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો છે.
નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં વિજળી દરોના ભાવમાં શુક્રવારે વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને અરવિંદ કજેરીવાલ દ્વારા વિજળી કંપનીઓ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે, તેમના દ્વારા અત્યારસુધીમાં કરવામાં આવેલા ખુલાસાઓને લઇને એક વિશેષ ટીમ કામ કરી રહી છે.
કેજરીવાલે એક રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની રચના કરી છે. આ ટીમમાં કામ કરનારા સ્વંય સેવક છે. જેમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટ, એક આઇઆઇએમ ગેસ્ટ લેક્ચરર, એખ આઇઆઇટીયન, એક એડવોકેટ, એક પત્રકાર અને એક મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ સામેલ છે. ઘણા મહત્વના ખુલાસા કરવાના કારણે દેશભરમાંથી ભ્રષ્ટાચારના દસ્તાવેજો તેમની પાસે આવે છે. કેજરીવાલની ઓફિસમાં લોકો સામેથી જ આ દસ્તાવેજો લઇને આવે છે. જે દસ્તાવેજોમાં મજબૂત પુરાવા જોવા મળે છે તે વધુ લોકો સાથે જોડાયેલા હોય છે તો, સંસ્થાના વરિષ્ઠ સભ્ય પ્રશાંત ભુષણ, મનીષ સિસોદિયા અને ગોપાલ રાય તેને સાંભળે છે અથવા તો વાંચે છે અને ત્યાર બાદ તે રિસર્ચ વિંગને આપવામાં આવે છે અને રિસર્ચ વિંગ તેનું કામ કરે છે.