કિંગફિશરની ઓફરનો અસ્વિકાર કરતા કર્મચારીઓ
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ કિંગફિશર એરલાઇન્સ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહિનાની સેલરીની કરાયેલી ઓફરને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ દ્વારા નકારી કાઢવામાં આવી છે. મેનેજમેન્ટ દ્વારા સસ્પેન્ડેડ કિંગફિશર એરલાઇન્સને પુનઃ જીવીત કરવાના ભાગરૂપે આ ઓફર આપવામાં આવી છે.
મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી ઓફર અનુસાર, સેલરીનો પહેલો ભાગ 24 કલાકમાં આપી દેવામાં આવશે, ત્યારબાદ બીજો સાત દિવસ બાદ અને ત્રીજો દિવાળી પહેલા 13 નવેમ્બરની આસપાસ આપી દેવામાં આવશે. એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું છે કે ચોથો ભાગ ડિસેમ્બરની આસપાસ આપી દેવામાં આવશે.
જો કે, દિલ્હી સ્થિત એરલાઇન્સના કર્મીઓએ મેનેજમેન્ટની ઓફરનો અસ્વિકાર કર્યો હતો અને ચોથા ભાગની સેલરી ટૂંક સમયમાં આપી દેવામાં આવે તેમ જણાવ્યું હતું. એરલાઇન્સના કર્મીઓએ કહ્યું છે કે તેમણે આ ઓફરનો અસ્વિકાર કર્યો છે, તેમને સીઇઓ સંજય અગ્રવાલ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હિતેશ પટેલ પર વિશ્વાસ નથી, તેઓ વિજય માલ્યા સાથે બેઠક કરવામાં માંગે છે.