કિંગફિશર તાળાબંધી: કર્મચારીઓ સાથે નિર્ણાયક બેઠક
છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાથી એરલાઇન્સના કર્મચારીઓ હડતાળ પર છે. તેમનું કહેવું છે કે તેમનો બાકી પગાર ચૂકવાવામાં આવે ત્યાર બાદ તે નોકરી પર આવશે. કર્મચારીઓની માંગણીના કારણે મેનેજમેન્ટ તાળબંધીની સમયમયાર્દાને આગળ વધારી રહી છે અને જેના કારણે ચાર ઑક્ટોબરથી ઉડાણો રદ કરવામાં આવી છે.
તાળાબંધી ઘોષણા બાદ બધી જ ઉડાનો રદ કરવામાં આવી છે અને ડીજીસીએએ વિજય માલ્યાની એરલાઇન્સને ટિકીટોનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ કિંગફિશરે તાળાબંધી સમાપ્ત કર્યા વિના ગત સપ્તાહથી ટીકીટોનું બુકિંગ શરૂ કરી દિધું છે.
ડીજીસીજીએ પાંચ ઓક્ટોબરના રોજ કિંગફિશરને નોટીસ ફટકારીને પૂછ્યું હતું કે તે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સેવા પુરી પાડતી નથી માટે તેનું લાઇસન્સ અટકાવવામાં આવે અથવા તો રદ કરવામાં આવે. ડીજીસીજીએ આ નોટીસનો જવાબ 15 દિવસમાં આપવાનું કહ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહે કહ્યું હતું કે એરલાઇન્સે પોતાની ઉડાનો શરૂ કરવાની પરવાનગી મેળવ્યા પહેલાં તેને સુરક્ષા અને પગારની ચૂકવણી વિશે ઠોસ યોજના ડીજીસીએ સમક્ષ રજૂ કરવી પડશે. કિંગફિશર 8,000 કરોડ રૂપિયાના નુકશાનમાં છે. અને તેની ઉપર 7,000 કરોડ રૂપિયાનું દેવું છે.