એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા તો આ કિંગ મેકર બનાવશે નવી સરકાર
આ વખતની ચૂંટણીમાં એક વાત ખાસ છે. 19 મેના રોજ અંતિમ તબક્કાના મતદાન બાદ જે પણ એક્ઝિટક પોલ આવ્યા છે
આ વખતની ચૂંટણીમાં એક વાત ખાસ છે. 19 મેના રોજ અંતિમ તબક્કાના મતદાન બાદ જે પણ એક્ઝિટક પોલ આવ્યા છે, તે તમામમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનવાની શક્યતા દર્શાવાઈ છે. જો કે ભાજપ અને એનડીએ માટે બેઠકોના અનુમાનમાં ભારે અંતર છે અને રાજ્યોમાંથી મળતી બેઠકોમાં પણ મતભેદ દેખાઈ રહ્યા છે. કોઈ પણ એવો દાવો નથી કરી રહ્યું કે આ અનુમાન 23 તારીખે કાઉન્ટિંગ બાદ સાચા થશે કે નહીં. એટલે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણી ખોટી પણ સાબિત થઈ શકે છે. આવું પહેલા પણ થઈ ચૂક્યુ છે. એટલે સવાલ એ છે કે જો એનડીએને ફરી બહુમત ન મળ્યો તો દેશભરમાં રાજકારણના એવા કયા ચહેરા છે, જે નવી સરકાર બનાવવામાં કિંગમેકર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. સ્થાનિક દળો એવા પણ છે જે મોદી સરકારની આગેવાની વાળા ભાજપ કે પછી રાહુલ ગાંધીની આગેવાની વાળા કોંગ્રેસને 272 સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝીટ પોલ સાચા સાબિત થશે?
મમતા બેનર્જી
તમામ એક્ઝિટપોલને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી ગપ્પાબાજી કહીને ફગાવી ચૂકી છે. આ જ એક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળમાં દીદીની પાર્ટીને 24થી 29 બેઠકોનું અનુમાન કરી રહી છે. 16મી લોકસભામાં રાજ્યની 42માંથી ટીએમસીને 34 બેઠકો મળી હતી. પાછલા 5 વર્ષોમાં મમતા સ્થાનિક નેતાઓમાં મોદીના સૌથી મોટા વિરોધી બનીને સામે આવ્યા છે. 23 તારીખ બાદ તે બિનભાજપી સરકાર બનાવવામાં મહત્વના સાબિત થઈ શકે છે. તેમણે 1998માં કોંગ્રેસમાંથી નીકળીને ટીએમસીની રચના કરી હતી. હાલની લોકસભાની ચૂંટણીમાં પણ તે મોદીના કટ્ટર વિરોધીની ભૂમિકામાં દેખાયા છે, ત્યારે તે ફરી એકવાર કોંગ્રેસની નજીક જઈ શકે છે.
માયાવતી
63 વર્ષની માયાવતીની બસપા દલિતોની પાર્ટી હોવાનો દાવો કરે છે, જે ભારતની વસતીનો લગભગ 5મો ભાગ છે. આ ચૂંટણીમાં બસપા અને સપાએ ગઠબંધન કર્યું હતું, જે ભાજપ માટે યુપીમાં અડચણ બન્યું છે. મનાઈ રહ્યું હતું કે આ ગઠબંધન યુપીમાં ભાજપનો સફાયો કરી દેશે. પરંતુ એક્ઝિટ પોલમાં ગઠબંધનને 10થી 45 બેઠકો જ મળી રહી છે. આખા ચૂંટણી પ્રચાર દરમિયાન માયવતીએ જે રીતે મોદી અને ભાજપ વિરોધી વલણ અપનાવ્યું છે, તે જોતા લાગે છે કે બિન ભાજપી સરકાર બનાવવામાં તે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
એમ કે સ્ટાલિન
16મી લોકસબામાં તામિલનાડુની સત્તાધારી પાર્ટી AIADMK રાજ્યની 39માંથી 37 બેઠકો જીતીને લોકસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં વિપક્ષ ડીએમકેનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. આ વખતે ડીએમને પ્રમુખ એમ. કે સ્ટાલિને રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે અને એક્ઝિટ પોલમાં તેમના ગઠબંધનને રાજ્યમાં 39માંથી 27 બેઠકો મળવાનું અનુમાન છે. એમ. કે સ્ટાલિન જાહેરમાં કહી ચૂક્યા છે કે તે રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે. જો કે જીડીપી પ્રમાણે ભારતના બીજા સૌથી વિકસિત રાજ્યના મુખ્ય વિપક્ષના પ્રમુખ વિશે ભાજપના લોકલ નેતાઓ દાવો કરી ચૂક્યા છે કે 66 વર્ષના ડીએમકે ચીફ ચૂંટણી બાદની ડીલ માટે ભાજપ સાથે સંપર્કમાં છે.
અખિલેશ યાદવ
16મી લોકસભામાં 46 વર્ષના અખિલેશ યાદવની સપા પાસે પણ 7 સાંસદો છે. પરંતુ આ વખતે બસપા સાથેના મહાગઠબંધનના કારણે તેમની બેઠકોમાં ભારે વધારો થવાના ક્યાસ લગાવાઈ રહ્યા છે. જો કે એક્ઝિટ પોલમાં યુપીમાં સપા બસપાની બેઠકો અંગે જુદા જુદા દાવા થઈ રહ્યા છે. આ ચૂંટણીમાં અખિલેશ યાદવે જે રીતે પ્રચાર અભિયાન ચલાવ્યું છે, તે બાદ જે પરિસ્થિતિ બની છે તે જો તે તેઓ એન્ટી મોદી કેમ્પ સરકાર બનાવવાનું જ પસંદ કરશે.
કે. ચંદ્રશેખર રાવ
કે. ચંદ્રશેખર રાવ આમ પણ ભાજપના નજીકના મનાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ બિનભાજપી અને બિન કોંગ્રેસી સરકાર માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેલંગાણાના 65 વર્ષના સીએમ પોતાના ઈરાદને લઈ કેરળના સીએમ વિજયન અને તમિલનાડુમાં ડીએમકે નેતા સ્ટાલિન સાથે પણ વાત કરી ચૂક્યા છે. તેઓ કર્ણાટકના સીએમ અને જેડીએસ નેતા કુમાર સ્વામી સાથે પણ સંપર્કમાં છે. હાલની લોકસભામાં તેમની ટીઆરએસ પાસે રાજ્યની 17માંથી 10 બેઠકો છે. એક્ઝિટ પોલ પ્રમાણે આ બેઠકો વધીને 13 થઈ શકે છે. એટલે આગામી સરકાર રચવામાં તેમની મહત્વની ભૂમિકા બની શકે છે.
ચંદ્રબાબૂ નાયડુજગનમોહન રેડ્ડી
આંધ્રપ્રદેશના બે રાજનેતાઓ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને YSR કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીને પણ આ વખતે લોટરી લાગી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે રે઼ડ્ડીના જીતવાની સંભાવના વધુ દેખાઈ રહી છે. જો કે પરિણામ પહેલા મોદીને હટાવવા માટે ચંદ્રાબાબુ નાયડુ વધુ પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે. હાલ વાય એસ જગન મોહન રેડ્ડી પણ પોતાનું વલણ નક્કી નથી કરી શક્યા. મળતી માહિતી પ્રમામે તેમને પોતાની તરફ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પ્રયત્ન કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ તેમને વિપક્ષી દળની બેઠકમાં બોલાવી રહી છે, તો ભાજપ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા તૈયાર હોવા સંકેત આપી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે એક્ઝિટ પોલમાં રાજ્યની 25માંતી 20 બેઠકો YSR કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે.
નવીન પટનાયક
ઓડિશાના એક્ઝિટ પોલના અનુમાન બીજેડી અધ્યક્ષ અને સીએમ નવીન પટનાયક માટે મુશ્કેલ રહ્યા હશે. કારણકે અલગ અલગ સર્વેમાં તેમના પક્ષને રાજ્યમાં 21માંથી 2થી 15 બેઠકો જ મળવાનું અનુમાન છે. એટલે એક્ઝિટ પોલ આવતા પહેલા જ ભાજપ અને કોંગ્રેસ બંને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા 73 વર્ના નવીનબાબુને મનાવવા પ્રયત્ન કરી રહી છે. ઓડિશામાં હાલમાં આવેલા તોફાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના પ્રયત્નોની મોદી સરકારે ખૂબ વખાણ કર્યા હતા. ખુદ પટનાયક પણ કહી ચૂક્યા છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે સારા સંબંદ ઈચ્છે છે. આવી સ્થિતિમાં તેઓ કોઈને પણ સાથ આપી શકે છે. હાલની લોકસભામાં તેમના 18 સાંસદ છે અને તેમણે ક્યારેય ભાજપ સાથે ગંભીર મતભેદ નથી થયા.