કોહિનૂર અમારો હતો, છે અને અમારો રહેશેઃ કેમરુન
અમૃતસર, 21 ફેબ્રુઆરીઃ એક તરફ અમૃતસર પહોંચી પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને જલિયાવાલા બાગ હત્યાકાંડ પર અફસોસ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ તેમણે એમ કહીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે કે શાહી તાજમાં જડેલા કોહિનૂર હીરા પર માત્રને માત્ર તેમનો અધિકાર છે, તેથી કોહિનૂરને ભારતને પરત આપવામાં નહીં આવે. બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને કહ્યું કે તે વસ્તુઓને પરત કરવામાં એટલે કે રિટર્નિઝમ પર વિશ્વાસ રાખતા નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રએ ઘણી વાર કોહિનૂર હીરાને ભારત લાવવાની માંગ કરી છે પરંતુ હંમેશા તેમની માંગને અવગણવામાં આવે છે અને આજે ફરી એકવાર પ્રધાનમંત્રી ડેવિડ કેમરુનના નિવેદનથી એ વાત જાહેર થઇ ગઇ છે કે કોઇપણ રીતે બ્રિટન કોહિનૂરને ભારતને પરત આપવા ઇચ્છતું નથી.
નોંધનીય છે કે મુગલ સમ્રાટ શાહજહાંએ કોહિનૂરને પોતાના પ્રસિદ્ધ મયૂર સિહાંસનમાં જડાવ્યો હતો. પરંતુ 1739માં ઇરાની શાસક નાદિર શાહે ભારત પર આક્રમણ કરીને આગરા અને દિલ્હીમાં ભયંકર લૂટપાટ કરી. જેમાં તે મયૂર સિંહાસનમાં જડેલો કોહિનૂર હીરો પણ હતો.