કુંભ મેળો : આજે લાખો શ્રદ્ધાળુઓ પોષી પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કરશે

કલ્પવાસ એક મહિના સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમાએ ગંગામાં સ્નાન કરવાથી અને દિલથી દાન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. આ ખાસ સ્નાન માટે બે દિવસ પહેલાથી જ અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓ આવવાનું શરૂ કરે છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી છે. જાણકારો અનુસાર આજના દિવસ માટે સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 3.36થી 9.54 સુધીનો છે. આ ઉપરાંત પણ સમગ્ર દિવસ દરમિયાન પવિત્ર સ્નાન કરી શકાશે.
કલ્પવાસ પોષ પૂનમથી લઇને મહાની પૂનમ સુધી ચાલે છે. તેનો અર્થ એ છે કે 25 ફેબ્રુઆરી સુધી લોકો સંગમના કિનારે જ રહેશે. કલ્પવાસ દરમિયાન ભક્તો અહીં એક મહિનો વીતાવે છે. તેઓ દિવસમાં ત્રણવાર સ્નાન કરે છે અને એક વાર ભોજન કરે છે. આ સમય દરમિયાન તેઓ કામ, ક્રોધ, મોહ અને માયાનો ત્યાગ કરવાનો પણ સંકલ્પ કરે છે. માનવામાં આવે છે કે કલ્પવાસ કરનારને બ્રહ્માજીની તપસ્યા કરવા જેટલું ફળ મળે છે.
સત્તાવાળાઓની ધારણા છે કે આજના દિવસે અંદાજે 55 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. જેઓ એક મહિનાનો કલ્પવાસ કરી શકતા નથી તેઓ સળંગ ત્રણ દિવસ અહીં રહીને તેનો લાભ મેળવી શકે છે.












Click it and Unblock the Notifications
