આડવાણીએ બીજેપીના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ
નવી દિલ્હી, 10 જૂન: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર ભારતીય જનતા પાર્ટીનમા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ બીજેપીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. આડવાણીએ પોતાનું રાજીનામું લેખિતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને સોંપી દીધું છે.
લાલકૃષ્ણ આડવાણીએ પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહને આજે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે હું પાર્ટીની સાથે બની રહીશ પરંતુ પાર્ટીના દરેક નિર્ણયોથી દૂર રહીશ. કારણ કે હવે પાર્ટીમાં મારી વિચારધારાના લોકો રહ્યા નથી પાર્ટીમાં હવે માત્ર એજન્ડાને લઇને ચાલનારા જ લોકો છે. માટે હું પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આની સાથે આડવાણીએ પાર્ટીની કાર્યકારિણીમાંથી, સંસદીય સમિતિ, ચૂંટણી સમિતિમાંથી રાજીનામુ આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગોવા ખાતેની રાષ્ટ્રિય કાર્યકારિણીનીની બેઠકમાં તેમની ગેરહાજરીમાં જ નરેન્દ્ર મોદીનું રાજતિલક કરીને તેમને રાષ્ટ્રિય પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તેને લઇને નારાજગી હોવાના કારણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ તેમને મનાવી લેશે અને તમનું રાજીનામાનો સ્વીકાર કરશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે આડવાણીએ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી ન્હોતી. અને મીડિયા અહેવાલનું માનીએ તો આડવાણીમાં મોદીની ભૂમિકાને લઇને નારાજગી હતી, જેના કારણે તેમણે બેઠકમાં હાજરી આપી નહી. જોકે પાર્ટીના નેતાઓએ આ બાબતોને રદિયો આપી દીધો હતો. જોકે આજે આડવાણીનું બીજેપીના પદો પરથી રાજીનામુ આપી દેવું એ બાબતની સાબિતિ આપે છે કે તેમની ગેરહાજરીમાં મોદીને લઇને તેમના મનમાં ક્યાંકને ક્યાંક નારાજગી હતી, જે આજે ખુલીને સામે આવી છે.