જયપુરમાં વકીલોનું હિંસાત્મક પ્રદર્શન, પથ્થરમારો કર્યો
વકીલોએ તેમની માંગ અને તેમના સાથીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના જવાબમાં ગુરુવારે સવારે બે ડઝન ગાડીઓમાં તોડફોડ કરી. પોલીસ મથક અને પોલીસની પીસીઆર વેનને આંગ ચાંપી હોવાના અહેવાલ છે. આ બધું થવા પાછળનું કારણ એ છેકે, બુધવારે જ્યારે વિરોધ કરતાં-કરતાં વકીલો વિધાનસભા સુધી પહોંચી ગયા હતા, ત્યારે તેમને રોકવા માટે પોલીસકર્મીઓએ આંસુ ગેસના ગોળા છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જેમાં 12 વકીલોને ઇજા પહોંચી હતી.
આ બનાવ બાદ ગુરુવારે વકીલો હિંસાત્મક મુદ્રામાં આવી ગયા હતા અને જયપુરનો નક્સો બદલી નાંખ્યો હતો. ઘણી ગાડીઓમાં તોડફોડ કરી હતી તો ક્યાંક પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. એટલું જ નહીં પણ ઘણા સ્થળો પર સામાન્ય જનતાને પણ વકીલોના આ હિંસાત્મક પ્રદર્શનનો ભોગ બનવું પડ્યું હતું.
નોંધનીય છે કે, જયપુર પોલીસ અને વકીલો વચ્ચેનો આ સંગ્રામ બુધવારે શરૂ થયો હતો. વકીલો રેલી પર નિકળ્યા હતા. તે વિધાનસભાનો ઘેરાવ કરવા જઇ રહ્યાં હતા. પોલીસે રસ્તો રોક્યો તો વકીલોએ પથ્થરમારો કર્યો, જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. આ વાતને લઇને વકીલોમાં ભારે ગુસ્સો હતો.