મોદીનો વિરોધ કરવાનો દંડ ચૂકવી રહ્યા છે અડવાણી
નવી દિલ્હી, 28 મે : દેશમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની આગેવાનીમાં સરકાર બની છે. વિરોધીઓના દબાણ છતાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા છે. તેમણે 45 મંત્રીઓ સાથેના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. મહત્વની બાબત એ છે કે મંત્રાલયોની ફાળવણીમાં નરેન્દ્ર મોદીએ સૌને ખુશ કર્યા છે. જો કે તેમા એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને સ્થાન આપવામાં આવ્યું નથી. કેબિનેટમાંથી ભાજપના આ બંને વરિષ્ઠ નેતાઓની બાદબાકી કરવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અડવાણી અને જોશીને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની સજા મળી રહી છે. ચૂંટણી પહેલા જ અડવાણી અન મુરલી મનોહર જોશીએ એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો કે તેમના માર્ગમાં અવરોધ ઉભા કર્યા હતા. આથી જ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ તેમના મંત્રીમંડળમાં અડવાણી કે જોશીને સ્થાન આપ્યું નથી.
અડવાણી અને જોશી આ બાબત સમજી ગયા છે અને જેના કારણે હાલ સંજોગોને વશ થઇને ચૂપચાપ બેસી ગયા છે. નોંધનીય બાબત એ છે કે એવું પ્રથમવાર બની રહ્યું છે કે અડવાણી અને જોશીને એનડીએ સરકારમાં કોઇ કામ મળ્યું નથી.
સરકારમાં સ્થાન નહીં મળવાને બદલે અડવાણી અને જોશીએ સ્વીકાર્યું છે કે તેમનું રાજકીય જીવન ખતમ થઇ ચૂક્યું છે. સંઘે પાર્ટી અને સરકાર બંનેમાં નેતાની ઉંમર 75 વર્ષ નક્કી કરી છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે અડવાણી અને જોશીની સાથે કોઇ વાયદો કરવામાં આવ્યો નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ના તો મંત્રી પદ અને ના તો સ્પીકરનું પદ અને ના તો એનડીએના ચેરપર્સન બનાવવાનું આશ્વાસન તેમને આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમને કોઇ પદ આપવાને બદલે પાર્ટી તેમના અનુભવનો લાભ ઉઠાવશે. અડવાણી અને જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા. આ સમારોહમાં અડવાણીને પ્રથમ પંક્તિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.