માયાવતી સાથે ગઠબંધનમાં કોણ હશે પીએમ પદનું દાવેદાર?
અખિલેશ યાદવને જ્યારે પ્રધાનમંત્રી પદ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, હું તો એટલુ મોટુ સપનુ નથી જોતો કે 2019 માં દેશનો પ્રધાનમંત્રી બનુ.
સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. બસપા સુપ્રિમો માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે 2019 ની લોકસભા ચૂંટણી માટે બની રહેલ મહાગઠબંધન અંગે સવાલો સતત ઉઠી રહ્યા હતા કે આ ગઠબંધનમાં નેતા કોણ હશે એટલે કે પ્રધાનમંત્રી પદ પર બંને નેતાઓમાંથી દાવેદારી કોની હશે. અખિલેશ યાદવે હવે પ્રધાનમંત્રી પદ અંગે ઉઠી રહેલા તમામ સવાલો પર પોતાના નિવેનથી વિરામ લગાવી દીધુ છે.
‘મારે તો ફરીથી યુપીના સીએમ બનવુ છે'
અખિલેશ યાદવને જ્યારે પ્રધાનમંત્રી પદ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, "હું તો એટલુ મોટુ સપનુ નથી જોતો કે 2019 માં દેશનો પ્રધાનમંત્રી બનુ. મારે દેશના પ્રધાનમંત્રી નથી બનવુ. હા, હું એ જરૂર ઈચ્છુ છુ કે દેશના આગામી પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાંથી જ બને. અત્યાર સુધી મોટેભાગે દેશના પ્રધાનમંત્રી યુપીમાંથી જ બનતા આવ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રધાનમંત્રી ભલે કોઈ પણ હોય પરંતુ તે યુપીમાંથી જ બને અને દેશનો વિકાસ કરે. મારે તો ફરીથી એક વાર માત્ર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવુ છે અને રાજ્યના વિકાસના કાર્યોને આગળ વધારવા છે."
સીટો અંગે વાતચીત ચાલુ
યુપીમાં બનનાર મહાગઠબંધન અંગે અખિલેશ યાદવે કહ્યુ કે, "સમાજવાદી પક્ષ 2019 ની લોકસભા ચૂંટણી બસપા પ્રમુખ માયાવતી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર સુનિશ્ચિત કરવા અને આ મહાગઠબંધનને કાયમ રાખવા જો સમાજવાદી પક્ષને 2-4 સીટોનું બલિદાન કરવુ પડ્યુ તો અમે તૈયાર છે. સીટો પર હાલમા હું આનાથી વધુ કંઈ નહિ કહુ."
માયાવતીને મળી શકે છે 40 સીટો
તમને જણાવી દઈએ કે યુપીની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર સપા-બસપાની જોડીએ જીત મેળવ્યા બાદ બંને વચ્ચે ગઠબંધનના સંકેત મળી ગયા હતા. ત્યારબાદ કૈરાના અને નૂરપુરમાં મહાગઠબંધનના ઉમેદવારને મળેલી જીત બાદ અખિલેશ યાદવે સ્પષ્ટ રીતે કહી દીધુ હતુ કે તે બસપા સાથે ગઠબંધનમાં ઓછી સીટો પર પણ તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે મહાગઠબંધન હેઠળ માયાવતીની બસપાને લોકસભાની 40 સીટો મળી શકે છે. જો કે સીટોની વહેંચણી અંગે બંને પક્ષો તરફથી હજુ સુધી અધિકૃત રીતે કંઈ કહેવામાં આવ્યુ નથી.