આઝમના ‘ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ
મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે આઝમ ખાનની ટિપ્પણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
યુપીની રામપુર લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર જયાપ્રદા વિશે આપેલા પોતાના વાંધાજનક નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા અને આ સીટથી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન ચારે તરફ ઘેરાતા જોવા મળી રહ્યા છે. આઝમ ખાન વિશે સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. વળી, પોલિસે પણ તેમની સામે આ મામલે એફઆઈઆર નોંધી લીધી છે. જયાપ્રદાએ ચૂંટણી કમિશન પાસે માંગ કરી છે કે આઝમ ખાનના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે. જો કે આઝમ ખાને કહ્યુ છે કે તેમણે પોતાના નિવેદનમાં કોઈનું નામ નથી લીધુ. આ દરમિયાન મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે આઝમ ખાનની ટિપ્પણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
‘આવા નિવેદનથી કોઈ લીડર નથી બની શકતુ'
આઝમ ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અપર્ણા યાદવે કહ્યુ, ‘કોઈ પણ વ્યક્તિએ આ રીતનું નિવેદન ન આપવુ જોઈએ. આ બહુ દુઃખની વાત છે કે આઝમ ખાનજીએ આવી વાત બોલી છે. બીજી વાત, આ રીતના સ્ટેટમેન્ટથી કોઈ પણ વ્યક્તિ મોટા નેતા ન બની શકે અને એ વાતનો કોઈ અર્થ નથી કે કોઈ મહિલા ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી કે અપના દલમાં હતી કે છે. હું બસ એટલુ કહીશ કે કોઈ પણ મહિલા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને હું આની નિંદા કરુ છુ.' સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના મૌન વિશે અપર્ણા યાદવે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો.
આઝમના આ નિવેદન પર મચ્યુ ઘમાસાણ
તમને જણાવી દઈએ કે રવિવારે રામપુરમાં આયોજિત એક ચૂંટણી જનસભામાં આઝમ ખાને એક અમર્યાદિત ટિપ્પણી કરીને કહ્યુ હતુ, ‘જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધિત્વ કરાવ્યુ, તેની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા. હું તો 17 દિવસમાં જ ઓળખી ગયો કે...' આઝમ ખાને પોતાના આ નિવેદન પર હોબાળો વધ્યા બાદ સફાઈ આપતા કહ્યુ કે તેમણે કોઈનું નામ નથી લીધુ. તેમણે કહ્યુ કે તેમની આ ટિપ્પણી દિલ્લીમાં એક આરએસએસ નેતા વિશે હતી. આઝમ ખાને પડકાર આપતા કહ્યુ કે જો કોઈ તેમને દોષી સાબિત કરી દે તો તે રાજકારણ છોડી દેશે.
‘હું અખિલેશના મૌન પર હેરાન છુ'
આઝમ ખાનના નિવેદન પર પલટવાર કરતા જયાપ્રદાએ કહ્યુ, ‘આ મારા માટે કોઈ નવી વાત નથી. તમને યાદ હશે કે જ્યારે હું 2009માં તેમની પાર્ટીની ઉમેદવાર હતી ત્યારે પણ તેમણે મારા વિશે એક નિવેદન આપ્યુ હતુ અને તે સમયે પણ કોઈએ મારો સાથ નહોતો આપ્યો. હું એક મહિલા છુ અને આઝમ ખાને જે કહ્યુ તેને હું રિપીટ નથી કરી શકતી. હું અખિલેશ યાદવના મૌન પર હેરાન છુ, તેમની સામે મારુ અપમાન થતુ રહ્યુ. મને ખબર નથી મે તેમની સાથે શું ખરાબ કર્યુ છે કે તેઓ આવી વાતો કહી રહ્યા છે. આઝમ ખાનને ચૂંટણી લડવાની અનુમતિ ન આપવી જોઈએ કારણકે આ માણસ જીતી ગયો તો લોકતંત્રનું શું થશે? સમાજમાં મહિલાઓ માટે કોઈ જગ્યા નહિ હોય. અમે ક્યાં જઈશુ? શું મારે મરી જવુ જોઈએ, ત્યારે તમે સંતુષ્ટ થશો? તમે વિચારતા હશો કે હું ડરી જઈશ અને રામપુર છોડી દઈશ? પરંતુ હું રામપુર નહિ છોડુ.'
‘મુલાયમ ભાઈ, તમે મૌન ન રહો'
આ મામલે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આઝમ પર હુમલો કર્યો. જયાપ્રદા વિશે કરવામાં આવેલી આઝમ ખાનની અમર્યાદિત ટિપ્પણી પર સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યુ, ‘મુલાયમ ભાઈ, તમે પિતામહ છે સમાજવાદી પાર્ટીના. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ના કરો @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav.' સુષ્મા સ્વરાજે પોતાના આ ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ ટેગ કર્યા છે. ઉલ્લેખનીય છે કે જે ચૂંટણી સભામાં આઝમ ખાને જયાપ્રદા પર અમર્યાદિત ટિપ્પણી કરી તેમાં અખિલેશ યાદવ પણ મંચ પર બેઠેલા હતા. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ કે આઝમ ખાન હંમેશા મહિલાઓ વિશે આ રીતના ગંદા નિવેદન આપે છે. આ ચૂંટણીમાં મહિલા નેતાઓ પર તેમની આ બીજી ટિપ્પણી છે. મહિલા પંચે આ મામલે નોંધ લીધી છે અને તેમને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.
આ પણ વાંચોઃ પૈસા, છોકરીઓની સપ્લાય અને ગણેશ પરિક્રમા કરવાથી મળે છે ભાજપની ટિકિટ, ઑડિયો વાયરલ