અલવિદા કરુણાનિધિઃ ગુરુ અન્નાદુરઈ પાસે અપાઈ સમાધિ
ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિના બુધવારે સાંજે 7 વાગે મરીના બીચ પર રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિના બુધવારે સાંજે 7 વાગે મરીના બીચ પર રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજાજી હોલથી કરુણાનિધિની અંતિમયાત્રા નિકળી. કરુણાનિધિના પાર્થિવ દેહ લઈ જતુ વાહન વલ્લાહ રોડ થઈને લગભગ ત્રણ કિમી સુધીની અંતર કાપીને અન્ના ચોક પહોંચ્યા. પક્ષે અંતિમ યાત્રા દરમિયાન પોતાના કાર્યકર્તાઓ અને જનતાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.
અંતિમ વિદાય
હજારોની સંખ્યામાં હાજર લોકોએ પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી. આ દરમિયાન કરુણાનિધિના અંતિમ દર્શન માટે બીચ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, પૂર્વ પીએમ દેવગૌડા, આંધ્ર સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિત ઘણા પક્ષોના નેતા હાજર રહ્યા.
કરુણાનિધિને શ્રધ્ધાંજલિ
મરીના બીચ પર કરુણાનિધિના એમ કે સ્ટાલિન, અલાગિરી, કનિમોઝી અને પુત્રી સેલ્વી સહિત પરિવારના દરેક સભ્યો હાજર રહ્યા. વળી, તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, રાજ્યમંત્રી ડી. જયકુમાર, કેન્દ્રીય મંત્રી પી. રાધાકૃષ્ણને મરીના બીચ પર કરુણાનિધિને શ્રધ્ધાંજલિ આપી.
શાળા-કોલેજો, દુકાનો, પેટ્રોલ પંપ બંધ
ચેન્નઈની બધી શાળા-કોલેજો, દુકાનો, પેટ્રોલ પંપ વગેરે બુધવારે બંધ રાખવામાં આવ્યા. સિનેમા હોલ્સમાં બુધવારે બધા શો રદ કરી દેવામાં આવ્યા. ચેન્નઈમાં મોટાભાગની બસો, ઓટોરિક્શા વગેરેની અવરજવર બુધવારે બંધ રાખવામાં આવી. જો કે રેલ સેવાઓની અવરજવર સામાન્ય રહી.
રાજાજી હોલમાં અંતિમ દર્શન
વળી. ચેન્નઈના રાજાજી હોલમાં ડીએમકે નેતા એમ કરુણાનિધિના નિધન બાદ મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યાં ભારે ભીડના કારણે અચાનક થયેલી ભાગદોડમાં 2 યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં 25 લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે. ત્યારબાદ કરુણાનિધિના પુત્ર એમ કે સ્ટાલિને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
કેડર્સની તાકાત બતાવી
એમ કે સ્ટાલિને ડીએમકે સમર્થકોને શાંતિની અપીલ કરી. તેમણે કહ્યુ કે હું મારા તરફથી કંઈ નથી ઈચ્છતો. અમે બધા કલાઈંગનારને શ્રધ્ધાંજલિ ઈચ્છીએ છીએ. તેમણે કહ્યુ કે જે હાલમાં સત્તામાં છે તે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. પરંતુ તમે બધાએ કેડર્સની તાકાત બતાવી છે.
પીએમ મોદી સહિત નેતાઓએ આપી શ્રધ્ધાંજલિ
આ પહેલા બુધવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નિર્મલા સીતારમણ, ફારુખ અબ્દુલ્લા સહિત દેશભરના ઘણા નેતા કરુણાનિધિને અંતિમ વિદાય આપવા ચેન્નઈ પહોંચ્યા. વળી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી મંગળવારે રાતે જ ચેન્નઈ પહોંચી ગયા હતા. ડીએમકે નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના સમ્માનમાં બુધવારે રાજ્યસભા અને લોકસભાને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી.
કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
કરુણાનિધિએ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે 94 વર્ષના હતા. હોસ્પિટલે કહ્યુ કે તેમને સારા ઉપચાર આપીને બચાવવાના ઘણા પ્રયાસો છતાં તેમનું સાંજે 6.10 વાગે નિધન થઈ ગયુ. કરુણાનિધિનો ત્યાં છેલ્લા 11 દિવસોથી ઈલાજ ચાલી રહ્યો હતો. હોસ્પિટલ તરફથી સોમવારની સાંજે કહેવામાં આવ્યુ હતુ કે તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યુ છે.