ભાજપના પૂર્વ CMએ કોંગ્રેસ નેતાને કહ્યુ, ‘તમારી સરકાર બની રહી છે'
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા બાબુલાલ ગૌરે એક કોંગ્રેસ નેતાને કહી દીધુ છે કે રાજ્યમાં તમારી સરકાર બની રહી છે.
રેકોર્ડ 74.61 ટકા મતદાન સાથે મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટોના ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં બંધ થઈ ચૂક્યુ છે. ભાજપ અને કોંગ્રેસ બંપર મતદાનને તર્ક સાથે પોતાના પક્ષમાં ગણાવીને જીતનો દાવો કરી રહ્યા છે. જો કે મધ્ય પ્રદેશમાં જીતનો તાજ કોના શિરે સજશે એ વાતનો નિર્ણય આગામી 11 ડિસેમ્બરે થઈ જશે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા બાબુલાલ ગૌરે એક કોંગ્રેસ નેતાને કહી દીધુ છે કે રાજ્યમાં તમારી સરકાર બની રહી છે. બાબુલાલ ગૌરનું આ નિવેદન હાલમાં મધ્ય પ્રદેશના રાજકારણમાં છવાયેલુ છે.

‘તમે મંત્રી બનવાના છો'
મધ્ય પ્રદેશમાં મતદાનના આગલા દિવસે એટલે કે ગુરુવારે કોંગ્રેસ નેતા અને ભોપાલ સીટ પરથી ચૂંટણી લડી રહેલા આરિફ અકીલ પૂર્વ સીએમ બાબુલાલ ગૌરને મળવા પહોંચ્યા. બંનેમાં રાજ્યના રાજકારણ પર ચર્ચા થઈ તો બાબુલાલ ગૌરે વાતો વાતોમાં આરિફ અકીલને કહ્યુ કે હવે તમે મંત્રી બનવાના છો, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે બાબુલાલ ગૌરે આ વાત મજાકમાં કહી હતી. પરંતુ રાજકીય ગલીઓમાં તેમના નિવેદન પર ચર્ચા છેડાઈ ગઈ છે. વળી, પત્રકારોએ જ્યારે આરિફ અકીલને આ મુલાકત વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે તે માત્ર બાબુલાલ ગૌરના આશીર્વાદ લેવા આવ્યા હતા.

‘રેકોર્ડ મતદાનમાં બધાને દેખાય છે જીત'
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરના રોજ મતદાન થયુ છે. રેકોર્ડ મતદાન સાથે મધ્ય પ્રદેશની 230 વિધાનસભા સીટો પર કુલ 74.61 ટકા મત આપવામાં આવ્યા. ભાજપના નેતાઓનું કહેવુ છે કે આ ચૂંટણીમાં આરએસએસના સ્વયંસેવકોએ લોકોને મત આપવા માટે જાગૃત કર્યા છે એટલા માટે મતદાનની ટકાવારી વધી છે અને વધુ મતદાન તેમના પક્ષમાં થયુ છે. વળી, કોંગ્રેસના નેતા દાવા કરી રહ્યા છે કે મતદાનની ટકાવારી વધવાનો સીધો અર્થ એ છે કે મધ્ય પ્રદેશની જનતા બદલાવ લાવવા માટે મત આપ્યા છે અને આવનારી સરકાર તેમની જ બનશે.

કોંગ્રેસનો દાવો, જીતીશુ 140થી વધુ સીટો
તમને જણાવી દઈએ કે મતદાન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યુ હતુ કે આજે બે વસ્તુ શાંતિપૂર્ણ રીતે નિપટાઈ ગઈ. એક મતદાન અને બીજી ભાજપ. કમલનાથે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો કે કોંગ્રેસને આ ચૂંટણીમાં 140થી વધુ સીટો મળશે. તેમણે કહ્યુ કે રાજ્યની જનતાએ બદલાવ લાવવા માટે ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે. જો કે મતદાનના દિવસે ઘણા વિસ્તારોમાં ઈવીએમ અને વીવીપેટ મશીનો ખરાબ થવાની પણ ફરિયાદો મળી જેને ચૂંટણી કમિશને બદલાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
