મહારાષ્ટ્ર: મરાઠા અનામત આંદોલન થયુ હિંસક, લોકોએ વાહનોને લગાવી આગ, પથ્થરમારામાં પોલીસ ઘાયલ
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા અનામતની માંગને લઈને થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે પોલીસ કર્મચારીઓ સહિત 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શુક્રવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસથી લઈને સામાન્ય લોકો સુધી તમામ ઘાયલ થયા હતા.
શનિવારથી મરાઠા આંદોલન હિંસક બન્યું છે. દેખાવકારોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહેવાલો અનુસાર, અનામતની માંગ કરી રહેલા કાર્યકરોના જૂથને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યા પછી તણાવ ફાટી નીકળ્યો હતો.

લાઠીચાર્જના જવાબમાં દેખાવકારોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગને લઈને જાલનાના અંતરવાલી સારથી ગામમાં મંગળવારથી ભૂખ હડતાળ પર છે.
શુક્રવારે જ્યારે પોલીસે ડોકટરની સલાહ પર ઝરંગેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. દેખાવકારોએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દેતાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે કેટલાક લોકોએ રાજ્ય પરિવહનની બસો અને ખાનગી વાહનોને પણ નિશાન બનાવ્યા હતા.
પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગ્રામજનોએ એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે હવામાં થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, પરંતુ અધિકારીઓએ તેની પુષ્ટિ કરી નથી. જાલના જિલ્લામાં, મરાઠાઓ પર લાઠીચાર્જના વિરોધમાં રસ્તા પર ટાયરો સળગાવવાને કારણે લાતુર ઝહીરાબાદ હાઈવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ટોળાએ પથ્થરમારો કરતાં ઓછામાં ઓછા 45 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં 17 મહિલા પોલીસ હતી. જે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની જાલના સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં બે નાયબ પોલીસ અધિક્ષક અને અનેક મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસે હિંસામાં કથિત સંડોવણી બદલ 300 થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાંતિની અપીલ કરી અને એ પણ જાહેરાત કરી કે ઉચ્ચ સ્તરે હિંસાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
