મહારાષ્ટ્રઃ નાંદેડ હૉસ્પિટલમાં 24 મોત પર વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકા ચતુર્વેદીએ આને ગણાવી હત્યા
Nanded Hopital Death: મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલોમાં જે રીતે 24થી વધુ લોકોના મોત થયા છે તે પછી વિપક્ષે એકનાથ શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ બેદરકારીને કારણે આ હત્યા થઈ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં નાંદેડના શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જે આ ઘટનાની તપાસ કરશે.

NCP નેતા શરદ પવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ઘટના સરકારી તંત્રની નિષ્ફળતાને છતી કરે છે અને દર્દીઓની ભાવિ સલામતીને લઈને ગંભીર પ્રતિસાદની પણ હાકલ કરે છે. આ ઘટના સંપૂર્ણપણે ચોંકાવનારી છે. આરોપ છે કે દવાની અછતને કારણે આ ઘટના બની છે.
કાલવા હૉસ્પિટલની ઘટનાને યાદ કરતા શરદ પવારે કહ્યું કે થોડા મહિના પહેલા આવી જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જ્યારે કાલવા હૉસ્પિટલમાં એક જ રાતમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી, જેના કારણે ફરીથી આવો અકસ્માત થયો છે. આ સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
NCPએ શિંદે સરકારને આ ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે મહારાષ્ટ્ર નાંદેડની સરકારી હૉસ્પિટલમાં દવાઓના અભાવે 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભાજપ સરકાર તેના પ્રચાર પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ બાળકોની દવાઓ માટે પૈસા નથી. ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી.












Click it and Unblock the Notifications
