ગોરખાલેન્ડની માંગ પર મમતાએ કર્યો ઇન્કાર
દાર્જલિંગમાં ગોરખાલેન્ડની માંગને લઇને ગોરખા જનમુક્તિ મોરચાએ અનિશ્ચિતકાળની હડતાળની જાહેરાત કરી છે. ત્યારબાદ મમતા બેનરજીએ કહ્યું કે, દાર્જલિંગ પશ્ચિમ બંગાળનું એક અભિન્ન અંગ છે. પશ્ચિમ બંગાળના વિભાજનનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અમે એકહતા અને એક છીએ અને એક જ રહીશું.
તેમણે કહ્યું કે, અલગ તેલંગણા રાજ્યની માંગ અનુચિત નથી. સાથે જ તેમણે પાંચ વર્ષ જૂના મુદ્દે અત્યારે નિર્ણય લેવા અંગે યુપીએ સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે, ચૂંટણી નજીક હોવાના કારણે કોંગ્રેસ અને કેન્દ્રને દેશને આગમાં સળગવા માટે છોડી દીધો છે.
તેલંગણા રાજ્યની રચનાને લીલી ઝંડી મળવાથી વર્ષોથી ચાલી રહેલા અલગ ગોરખાલેન્ડ રાજ્યની માંગને લઇને પ્રદર્શન ઉગ્ર થઇ ગયા છે. દાર્જલિંગ પર્વતોમાં વાતાવરણ ગરમ થઇ ગયું છે. પોતાની માંગના સમર્થનમાં ગોરખા જનમુક્તિ મોરચાએ 72 કલાક બંધનું આહવાન આપ્યુ હતું.
બંધના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું. સ્કૂલ, કોલેજ, બેન્ક, સરકારી અને ખાનગી કાર્યાલય પણ ખુલ્યા નહીં. સુરક્ષાદળના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ શિવસેનાએ ગોરખાલેન્ડના વિરોધમાં એક ઓગસ્ટે સિલીગુડીમાં બે દિવસીય બંધની જાહેરાત કરી છે.