Coal crisis : કોલસાની કટોકટી વચ્ચે ઉર્જામંત્રી, કોલસા મંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક!
દેશની વીજ કંપનીઓમાં કોલસાની અછત વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ રહી છે.
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : દેશની વીજ કંપનીઓમાં કોલસાની અછત વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ રહી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આર કે સિંહ અને જોશીએ ગૃહ મંત્રાલય પહોંચી અમિત શાહ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં પાવર અને કોલસા મંત્રાલય અને NTPC ના અધિકારીઓ પણ હાજર છે.
છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સંબંધિત અહેવાલો બહાર આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વીજળી કાપ પણ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષોએ કોલસાની અછત અને ઉર્જા સંકટનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જે બાદ આજે આ મહત્વની બેઠક યોજાઈ રહી છે. જો કે સરકાર તરફથી હજુ સુધી બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ સમગ્ર મામલો કોલસાના સ્ટોક સાથે સંબંધિત છે. સામાન્ય રીતે વીજ કંપનીઓ પાસે પહેલા 17 દિવસનો કોલસો સ્ટોકમાં રાખવામાં આવતો હતો, જે હવે 4 દિવસની નજીક આવી ગયો છે. કોલસાના સ્ટોકમાં ઘટાડા અંગે દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દિલ્હી પાસે માત્ર બે-ત્રણ દિવસનો કોલસો બાકી છે. મહારાષ્ટ્રમાં 7 થર્મલ પાવર પ્લાન્ટના 13 યુનિટ બંધ હોવાનું કહેવાય છે. પંજાબ, તામિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત થર્મલ પાવરમાં થાય છે. આવી સ્થિતિમાં માત્ર વિપક્ષી પાર્ટીઓ જ નહીં પરંતુ આ ક્ષેત્રના નિષ્ણાતોએ પણ કોલસાની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ આ વિશે કહ્યું છે કે જો આ કટોકટીનો ઉકેલ નહીં આવે તો વીજળીથી ચાલતા ઉદ્યોગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.