મેઘાલય સરકારે પીએમ મોદીને ના આપી રેલીની મંજુરી, બીજેપી બોલ્યું- કોઇ નહી રોકી શકે
મેઘાલયમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની રેલી માટે મેઘાલય સરકારે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. ભાજપ તરફથી પલટવાર કરતા કહેવામાં આવ્યું છે કે પીએમની રેલીને કોઈ રોકી શકશે નહીં.
મેઘાલય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વડાપ્રધાન મોદી દક્ષિણ તુરાના પીએ સંગમા સ્ટેડિયમમાં રેલીને સંબોધવાના હતા, પરંતુ મેઘાલય સરકારે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. મેઘાલય સરકારના આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ નારાજ છે. ભાજપ તરફથી મેઘાલય સરકાર પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું કે પીએમને કોઈ રોકી શકશે નહીં. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારમાં સામેલ થવા માટે 24 ફેબ્રુઆરીએ શિલોંગ અને તુરા જવાના છે. મેઘાલયના રમતગમત વિભાગ દ્વારા તુરામાં રેલીની પરવાનગી આપવામાં આવી નથી. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ટેમ્બેએ જણાવ્યું હતું કે રમતગમત વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીં આટલી મોટી સંખ્યામાં લોકોના કાર્યક્રમનું આયોજન કરવું યોગ્ય નથી કારણ કે અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. અહીં ઘણો સામાન રાખવામાં આવ્યો છે, તેથી તેના કારણે સુરક્ષાની સમસ્યા થઈ શકે છે. તેથી, તેની અન્ય વૈકલ્પિક જગ્યા શોધવી જોઈએ. તેથી, અન્ય વૈકલ્પિક સ્થળ, એલોટગ્રે ક્રિકેટ સ્ટેડિયમનો વિચાર કરી શકાય.
બીજેપીના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હાએ કહ્યું કે રેલી પહેલાથી નક્કી કરેલા સ્થળે યોજાશે. એકવાર પીએમ આ નિર્ણય લઈ લે કે તેમણે મેઘાલયના લોકો સાથે વાત કરવી જોઈએ, તો પીએમને કોઈ રોકી શકશે નહીં. મને સમજાતું નથી કે આ સ્ટેડિયમને કેવી રીતે ના પાડી શકાય. ખાસ કરીને જ્યારે બે મહિના પહેલા આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ખુદ પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. કોનરાડ સંગમા અને મુકુલ સંગમા ભાજપથી ડરે છે? આ લોકો મેઘાલયમાં ભાજપની લહેરને રોકવા માંગે છે. તમે પીએમ મોદીની રેલીને રોકવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ રાજ્યની જનતાએ મન બનાવી લીધું છે કે તેઓ ભાજપને સમર્થન આપશે.
બીજેપી મેઘાલય ચૂંટણી સમિતિના સહ-સંયોજક રૂપમ ગોસ્વામીએ કહ્યું કે પીએમ મોદીની રેલી યોજાશે. પાર્ટીએ બીજી વૈકલ્પિક જગ્યા પસંદ કરી છે અને જિલ્લા વહીવટીતંત્રની પરવાનગીની રાહ જોઈ રહી છે. નોંધનીય છે કે પીએમ અહીં 24 ફેબ્રુઆરીએ એક જનસભાને સંબોધિત કરશે. આ સાથે પીએમ રોડ શો પણ કરશે. ભાજપને અહીં મોટા માર્જિનથી જીતની આશા છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણીના પરિણામો 2 માર્ચે આવશે. ત્રિપુરાની તમામ 60 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.












Click it and Unblock the Notifications
