વાલ્મિકીનગર, 7 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે બિહારના વાલ્મિકીનગરમાં ચૂંટણી સભા સંબોધી છે. જનસભાને સંબોધતી વખતે મોદીએ પ્રિયંકા ગાંધી દ્વારા નીચ રાજકારણના અને રાહુલ ગાંધી દ્વારા નીચ કર્મ કહી કરેલા પ્રહારનો મોદીએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીમાં બેસેલી સરકારે નીચ રાજકારણ અને નીચ કર્મ કર્યા છે, એ નીચ રાજકારણ અને નીચ કર્મમાંથી ભારતીય જનતા પાર્ટી દેશને મુક્ત કરાવશે. નોંધનીય છેકે આજે અમેઠીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીચ કર્મ હોય છે, નીચ જાતિ નથી હોતી, જેનો જવાબ મોદીએ પોતાની વાલ્મિકીનગરની રેલીમાં આવ્યો છે.
આજકાલ કોંગ્રેસ પાર્ટી પરાજયથી ડરી ગઇ છે. 60 વર્ષનું અમારું સામ્રાજ્ય, અમારા પરિવારે આટલા બધા વડાપ્રધાન આપ્યા અને દેશમાં અમારો ઠેકો છે, ત્યારે એક ગરીબનો દિકરો, ચા વેચનારો અમને લલકારે છે અને તેથી રાતભર રિસર્ચ ટીમ કામ કરે છેકે મોદીને કઇ ગાળ આપવામાં આવે. હું કામ કરી રહ્યો છું દેશના વિકાસ માટે, તેઓ કામ કરી રહ્યાં છે મોદીને રોકવા માટે, મારો એજેન્ડા છે ખેડૂતોનું ભલું કરવું, આદિવાસીઓનું ભલું કરવું, રોજગારી આપવી તેમનો એજન્ડાથે મોદીને રોકવો. તમે નક્કી કરો કે દેશને શું જોઇએ છે.
આજે ગંભીરતાથી પ્રશ્ન ઉઠાવવા માગું છું કે નીચ રાજકારણ કોને કહેવાય. અનાજ સડતું હોય, ઉંદર ખાતા હોય, સુપ્રીમ કોર્ટ એ અનાજને ગરીબોને વેચવામાં આવે, પરંતુ દિલ્હીની સરકાર એ અનાજ ગરીબોને આપે નહીં અને એ અનાજ 80 પૈસા કિલાના ભાવે દારૂ બનાવનારાને વેચવામાં આવે તે નીચ રાજકારણ છે. આ નીચ રાજકારણને માફ કરશો, આ નીચ કર્મને માફ કરશો. હિન્દુસ્તાન કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર હતો, ત્યારે ટોઇલેટ પેપરમાંથી તેઓ પૈસા ખાઇ ગયા. ખેલના ખીલાડીઓને પાણી પણ આપી ના શક્યા. લૂંટ ચલાવવી એ નીચ રાજકારણ છે, નીચ કર્મ છે. સેનાના જવાન દેશની રક્ષા કરે છે, પરંતુ પાકિસ્તાન આવીને મારા જવાનોના માથા કાપી નાખે, ત્યારે દિલ્હીમાં બેસેલી સરકાર પાકિસ્તાનના વડાપ્રધાનને ચીકન બીરયાની ખવડાવે એ નીચ રાજકારણ અને નીચ કર્મ છે.
કોલસાની ખાણો, કારખાના બંધ બેઠા છે અને ઉચ્ચ સ્થાને બેસેલા લોકોએ કોલસાની ચોરી કરી છે. ચોર પણ કોલસાની ચોરી કરતો નથી, પરંતુ દિલ્હી સરકારમાં બેસેલા લોકો કોલસો ખાઇ ગયા. કોલસાની ચોરી કરવી એ નીચ રાજકારણ અને નીચ કર્મ છે. નીચ રાજકારણ અને નીચ કર્મથી બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સાથ આપો. આ ચૂંટણી તમારું ભાગ્ય બદલવા માટે છે.