‘એમના’ નાની આંસુ સારતાં હશે આવા ‘દોહિત્ર’ ઉપર
અમ્બિકાપુર, 7 સપ્ટેમ્બર : ‘એમના નાની આંસુ સારતાં હશે આવા દોહિત્ર ઉપર. એમના નાની વિચારતાં હશે કે તેમની ત્રીજી પેઢી આ શું કહી રહી છે?' આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદીના. નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢમાં અમ્બિકાપુર ખાતે યોજાયેલી ભાજપની રેલીને સંબોધતા આ શબ્દો ઉચ્ચાર્યાં. તેમણે કાંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની ઉપર નિશાન સાધ્યું.
મોદીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતાં જણાવ્યું - ગરીબીની સૌથી મોટી મશ્કરી તો કોંગ્રેસના આશાસ્પદ નેતાએ કરી છે કે જેના સહારે કોંગ્રેસ આગળ વધી રહી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના આ આશાસ્પદ નેતા કહે છે કે ગરીબાઈ તો માત્ર મનની પરિસ્થિતિ છે. મોદીએ જણાવ્યું - મને આશ્ચર્ય થયું છે આ સાંભળીને.
મુખ્યમંત્રીએ ઇંદિરા ગાંધીનું નામ લીધા વગર જણાવ્યું - તેમના નાની કે જેઓ ગરીબી હટાવોના નારા લગાવતા હતાં, તેમને કેટલી પીડા થતી હશે આવું સાંભળીને. તેમની ત્રીજી પેઢી આ કેવી વાત કરી રહી છે.
નરેન્દ્ર મોદી આ રેલીમાં આક્રામક મૂડમાં દેખાયાં. તેમણે ગરીબાઈ અંગે કોંગ્રેસ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓના વિવાદાસ્પદ નિવેદનો અંગે પણ ટીકાઓ કરી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના લોકોએ ગરીબાઈને મજાક બનાવી દીધી છે. કોંગ્રેસ પાર્ટી લોકોને સામાન્ય નાગરિક ગણવા તૈયાર નથી. તે માત્ર લોકોને વોટબૅંક તરીકે યૂઝ કરવા માંગે છે.