ગુરુવારે નરેન્દ્ર મોદી મુંબઇમાં, ભવ્ય સ્વાગત કાર્યક્રમ રદ
ગુરુવારની મુંબઇ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી પહેલાં બાંદરાના રંગશારદા હોલમાં સવારે 11.30 વાગ્યે પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે બે વાગ્યે તેઓ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (એફઆઇઆઇ)ના કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટોને તાજમહલ હોટેલમાં સંબોધવાના છે. સાંજે સાડા પાંચ વાગ્યે રામભાઉ મ્હાળગી પ્રબોધિનીના વિનય સહસ્રબુદ્ધેએ લખેલા ‘બિયોન્ડ ધ બિલ્યન બેલટ્સ' પુસ્તકના અનાવરણ માટે મુંબઈ શેરબજારમાં જવાના છે.
મુંબઇમાં મોદીના સ્વાગતની તૈયારીઓ વિશે જણાવતાં મુંબઈ ભાજપના પ્રેસિડન્ટ આશિષ શેલારે કહ્યું હતું કે 'અમે તૈયારીઓ કરી હતી અને મોટી સંખ્યામાં સમર્થકો તેમનું વેલકમ કરવા આવવાના હતા. એક ન્યુઝપેપરમાં તો આ માટે જાહેરખબર પણ પ્રસિદ્ધ થઈ હતી. જોકે નરેન્દ્ર મોદી સાહેબનો ફોન આવ્યો હતો કે ઉત્તરાખંડમાં અત્યારે કુદરતી હોનારતનો અનેક લોકો ભોગ બન્યા છે ત્યારે આવું ગ્રેન્ડ વેલકમ કરવું યોગ્ય નથી, મલાજો જળવાવો જોઇએ. આથી હવે અમે ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ રદ કર્યો છે.'