ફર્રુખાબાદ, 19 માર્ચ: વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે ગુજરાત રમખાણોમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ નથી મળી અને તેમની પાર્ટીના લોકો તેમને પાક-સાફ ગણાવવાના સૂત્રોચ્ચાર કરીને જનતાને ગેરમાર્ગે દોરવાની કોશીશ કરી રહ્યા છે.
ખુર્શીદે ગઇકાલે અત્રે પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત રમખાણોના મામલામાં મોદની ક્લીન ચિટ આપવા સંબંધી સવાલ પર જણાવ્યું કે મોદીને કોઇ ક્લીન ચિટ આપવામાં નથી આવી. માત્ર એક મજિસ્ટ્રેટે સમન જારી કરવાનો ઇન્કાર કર્યો છે. જેનાથી એવું સાબિત નથી થતું કે મોદી પાક-સાફ છે.
અત્રે નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે સલમાને મોદી સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હોય. ખર્શીદે ભાજપના વડાપ્રધાન કેન્ડીડેટ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરતા થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે 'ગુજરાતમાં જ્યારે 2002ના રમખાણ થયા ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને એક મુખ્યમંત્રી જો પોતાના રાજ્યના રમખાણને રોકવામાં અસમર્થ રહે તો તેને નપુંસક ના કહેવા તો શું કહેવું.' એ પહેલા પણ તેમણે મોદીની તુલના એવા દેડકા સાથે કરી હતી, જે હજી હમણા હમણા જ કૂવામાંથી બહાર નીકળ્યો હોય. તેમના આ નિવેદન પર પણ ખૂબ જ વિવાદ થયો હતો.