અમદાવાદ, 4 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં 30 એપ્રિલે મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ સાથે સંબોધન અને સેલ્ફી ખેંચીને કરેલા કથિત આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં અમદાવાદ પોલીસે કાર્યવાહી આરંભી છે. આ મુદ્દે કેટલીક ટેલિવિઝન ચેનલના પ્રતિનિધિઓને પૂછપરછ અને નિવેદનો નોંધાવવા માટે સમન પાઠવ્યા છે.
અમદાવાદના રાણીપ મતવિસ્તરમાં એક બૂથ પર મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પાર્ટી ચિહ્ન કમળને દર્શાવીને વિવાદ સર્જયો હતો. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે રાષ્ટ્રીય સમાચાર ચેનલોના અમદાવાદ સ્થિત બ્યુરોએ પોલીસના સમનની વાતને પુષ્ટિ આપી છે. આ સમન્સ પોલીસે ઇમેઇલ દ્વારા પાઠવ્યા છે. આ સમન્સ ચૂંટણી પંચના આદેશને પગલે પોલીસે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 126(1)(A)ના ઉલ્લંઘનનો કેસ એફઆઇઆરમાં નોંધીને શરૂ કરી છે. આ કલમ મુજબ મતદાન બૂથના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકતો નથી.
આ મુદ્દે કોંગ્રેસ ઉપરાંત જેડીયુએ પણ મોદીની તાત્કાલિક ધરપકડ કરીને તેમને વડોદરા અને વારાણસીમાં ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગણી કરી છે. આ ઉપરાંત ટીવી ચેનલ્સ સામે પણ આ પ્રેસ કોન્ફરન્સ પ્રસારિત કરવા બદલ જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે.