વારાણસી, 18 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014માં એવી એવી વાતો બહાર આવી રહી છે કે જે ક્યારેય સાંભળી ના હોય અને જેની કલ્પના કરી ના હોય. ચૂંટણી 2014માં કેટલાક ઉમેદવારો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે તો કેટલાક હુક્કાપાણી બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આવા સમયમાં વારાણસીમાં કોંગ્રેસની ટીકિટ પર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ઉભા રહેલા અજય રાય વિશે આશ્ચર્યજનક ખુલાસો બહાર આવ્યો છે.
એક સનસનાટી ભર્યા ખુલાસામાં બહાર આવ્યું છે કે વારાણસીમાં મોદીના હરીફ કોંગ્રેસના અજય રાયે શહાબુદ્દીન પાસેથી AK47 રાઇફલ્સ ખરીદી હતી. આ ખુલાસો આજે રાત્રે ઇન્ડિયા ટીવી પર રજત શર્માના શૉ આપ કી બાતમાં થવાનો છે.
ઇન્ડિયા ટીવીએ બિહારના પૂર્વ ડીજીપીની એક રિપોર્ટનો હવાલો આપીને આ ખુલાસો કર્યો છે. જેમાં કહેવાયું છે કે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે હત્યા સહિતના અનેક ગંભીર કેસમાં જેલની હવા ખાઇ રહેલા અંડરવર્લડ ડોન શહાબુદ્દીન પાસેથી AK47 રાઇફલ્સ ખરીદી હતી.
વર્ષ 2003માં બિહારના તત્કાલીન ડીજીપી ડીપી ઓઝાએ 82 પાનાની એક રિપોર્ટ તત્કાલીન ગૃહ સચિવને મોકલી આપી હતી. આ મામલો જે સમયે નોંધાયો તે સમયે અજય રાય કોલાસલાના પૂર્વ ધારાસભ્ય હતા. ડીજીપી રિપોર્ટમાં અજય રાયને શહાબુદ્દીનના અપરાધિક સહયોગી ગણાવવામાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે શહાબુદ્દીનની આધુનિક હથિયારો રાખવાની લાલસા વધતી ગઇ હતી. વર્ષ 1996 દરમિયાન તેમણે કાશ્મીરમાંથી મોટી સંખ્યામાં AK47 લાવી રાખી હતી. તેમાંથી 8થી 10 શાહબુદ્દીને રાખી લીધી હતી. જ્યારે બાકીની અજય રાય અને રાંચીના અનિલ શર્માને વેચી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2001માં હજ દરમિયાન શહાબુદ્દીનની માફિયા દાઉદ ઇબ્રાહિમ સાથે થઇ હતી. રિપોર્ટ અનુસાર અપરાધિઓનું નેટવર્ક પશ્ચિમ ઉત્તરભારતથી બિહાર અને નેપાળ ઉપરાંત અન્ય દેશોમાં પણ ફેલાયેલું હતું.
રિપોર્ટના પેજ નંબર 42 પર ઓઝાએ 24 એપરાધિઓના નામ લખ્યા છે. દાઉદ ઇબ્રાહિમનું નામ પેજ નંબર 12 પર છે. રિપોર્ટમાં બાહુબલી મુખ્તાર અંસારી અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયનું નામ પણ છે. આ યાદીમાં 24મા નંબરે અજય રાયનું નામ છે.
મુખ્તાર અંસારી પર અજય રાયના ભાઇ અવિનાશ રાયની હત્યાનો આરોપ છે. અંસારી હાલ જેલમાં બંધ છે. આ એજ મુખ્તાર અંસારી છે જેમણે વારાણસીમાંથી ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી અને પાછળથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.