નરેન્દ્ર મોદીની જીતમાં ભાજપની હારનો લાભ કોંગ્રેસને મળશે!!!
નરેન્દ્ર મોદી શાસનના 11 વર્ષ પૂરા થવા છતાં એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટરને ચપળતાપૂર્વક કાબૂમાં લઇ શક્યા છે તો દિલ્હી માટે કોંગ્રેસ પણ પ્રો ઇન્કમ્બન્સીને પોતાના પાસામાં પાડી શકે છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે વાત કરવી જોઇએ.
રાષ્ટ્રીય સ્તરે વર્ષ 2012માં ભાજપને મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં એન્ટિઇન્કમ્બન્સી સામે ભાજપ ભલે ફાવી ગયું હોય પણ અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભાજપ સત્તા વિરોધી લહેરને ખાળી શક્યું નથી. આ બંને રાજ્યોમાં મળેલી હાર ભાજપને લોકસભા ચૂંટણી 2014માં ભારે પડી શકે છે.
લોકસભાના ગણિત પર નજર કરીએ તો અત્યાર સુધી ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ થઇને ભાજપના 270થી વધારે ધારાસભ્યો હતા. વર્ષ 2012માં વિવિધ રાજ્યોમાં થયેલી ચૂંટણી બાદ હવે આ રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 255 જેટલી થઇ ગઇ છે.
બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો મોટા કૌભાંડો અને મંત્રીઓ પર ભ્રષ્ટાચાર આચરવાના આરોપો છતાં આ વર્ષમાં જે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી તેમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 215થી વધીને 250 પર પહોંચી છે.
તાજેતરમાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની વાત કરીએ તો વર્ષ 2007ના પરિણામની સરખામણીએ ભાજપને મળેલા કુલ મતો ઘટ્યા છે અને કોંગ્રેસના મતો વધ્યા છે. ટૂંકમાં ભારતમાં ભાજપ કરતા કોંગ્રેસની સ્થિતિ વધારે મજબૂત બની રહી છે.
કોંગ્રેસ માટે એવું પણ કહેવામાં આવે છે કોંગ્રેસના સંગઠનનું બંધારણ અને કાર્યપધ્ધતિ જે પ્રકારની છે તેના કારણે એક દિવસ કોંગ્રેસનું અસ્તિત્વ નહીં રહે. પણ મુદ્દાની વાત એ છે કે આ પધ્ધતિને કારણે જ તેની આંતરિક મજબૂતી વધી છે. જેના કારણે લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસનું યુપીએ ત્રણ ગઠબંધન સરકાર બનાવશે. અને એવું ના થયું તો પણ ત્રીજા મોરચાએ સરકાર બનાવવા માટે કોંગ્રેસનું સમર્થન મેળવવું જરૂરી રહેશે.
હવે ભાજપની વાત કરવામાં આવે ભાજપ તેની વિચારધારા અને મૂળભૂત નેતાગીરી ગુમાવી રહ્યું છે. પ્રાથમિક તબક્કે સંપૂર્ણ પણે લોકતાંત્રિક પક્ષ ગણાતા ભાજપમાં હવે નેતૃત્વની ઉણપ દેખાવા લાગી છે. અને જ્યાં વિચારધારા અને નેતૃત્વની ઉણપ આવે છે ત્યાં પક્ષ નબળો પડવા લાગે છે.
આગામી લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી માત્ર પક્ષો નહીં પણ વિચારધારા અને નેતૃત્વની પણ હશે. ત્યારે દેશના પ્રમુખ પક્ષોની વાસ્તવિક તાકાતનો ખ્યાલ આવશે, આ સાથે નરેન્દ્ર મોદીનો કરિશ્મા માત્ર ગુજરાત પુરતો જ મર્યાદિત છે કે રાષ્ટ્રીય સ્તરે પણ તે મતો ખેંચી લાવવામાં મદદરૂપ બને છે તેનાં પારખાં થઇ જશે.