મુલાયમ સિંહે આપ્યો સોનિયા-રાહુલને વીજળીનો કરંટ
લખનઉ, 12 એપ્રિલ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબંધોમાં આવેલી કડવાશ હવે સામે આવા લાગી છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ વીજળીના કરંટનું ઉદાહરણ છે જે મુલાયમે સોનિયા અને રાહુલ ગાંધીને આપ્યો છે. આ ઝટકો છે રાયબરેલી અને અમેઠીને આપવામાં આવતી વીજળી સપ્લાયનો જેમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે.
મુલાયમ સિંહના પુત્ર અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે વિશેષ આદેશ જારી કરતા રાયબરેલી અને અમેઠીથી વીજળી સપ્લાયના મામલામાં વીવીઆઇપી શહેરનો દરજ્જો છીનવી દીધો. હજી સુધી આ બંને શહેરોને 24 કલાક માટે વીજળી મળતી હતી. પરંતુ હવે તેને ઘટાડીને 10થી 12 કલાક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વીજળીનું ઉત્પાદન ઓછું થયું તો તેમાં વધું કાપ મૂકાઇ શકે છે.
આમ જોઇએ તો વીજળીનો આ ઝટકો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે છે કારણ કે આ વખતે સપા સરકારે સીધો તેમના સંસદીય વિસ્તાર પર વાર કર્યો છે. ખાસ વાત એ છે કે સોનિયા, રાહુલ દરેક વખતે આવે છે અને અહીં નવી યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરે છે. કેટલાક વચનો પૂરા કરતા તેમણે નવી યોજનાઓ શરૂ પણ કરી છે, પરંતુ વીજળીની આપૂર્તી 24 કલાક નહીં થતા તેમના સંચાલનમાં વિક્ષેપ આવી શકે છે.