મુલાયમ મળ્યા પ્રધાનમંત્રીને, ફૂડ બિલમાં કરાવ્યા 10 ફેરફાર?
યુપીએ સરકારને બહારથી સમર્થન આપનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પ્રધાનમંત્રીના રહેઠાણ સ્થળે લગભગ એક કલાક રોકાયા અને કેબિનેટની બેઠક શરૂ થવાના થોડા સમય પહેલા જ ત્યાંથી નીકળ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાયમે અન્ન સુરક્ષા બિલમાં 10 સંશોધનનું સૂચન કર્યું છે અને જણાવ્યું છે કે આ સંશોધનોનો સ્વીકાર નહીં કરવામાં આવે તો તેમની પાર્ટી આ ખરડાનું સમર્થન કરશે નહી.
ગયા અઠવાડીએ મુલાયમે અન્ન સુરક્ષા પર લાવવામાં આવેલા વટહુકમ પર કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો અને તેના પર વોટબેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઇરાદા સારા નથી. તેમણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ કોંગ્રેસ વટહુકમ શા માટે લાવી, જેવી રીતે પાછલી લોકસભા ચૂંટણીમાં ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના લાવી હતી.
મુલાયમ સિંહે વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની પાર્ટી આ ખરડા પર વિચાર કરશે અને જોશે કે તે થકી ખેડૂતાના હિતોને કોઇ નુકસાન તો નથી થવાનું ને. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભૂખના કારણે પાંચ લાખ લોકોના મોત થયા હતા તેમાંથી સૌથી મોટી સંખ્યા મહારાષ્ટ્રમાંથી છે, તો કેન્દ્ર સરકારે તેમના માટે અન્ન વિતરણ કેમ ના કર્યું.