નરેન્દ્ર મોદી છે ઇન્ડિયન મુજાહિદ્દીનના હિટલિસ્ટમાં ટોપ પર
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના નિશાનામાં સૌથી ઉપર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. આ માહિતી ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ સ્થાપક યાસીન ભટકલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓને પૂછપરછ દરમિયાન આપી હતી. આ કારણે રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદીના જીવને સૌથી મોટું જોખમ ઉભું થયું છે.
આ માહિતી બહાર આવ્યા બાદ નરેન્દ્ર મોદીની આગામી સમયમાં ચૂંટણી પ્રચાર સભાઓ અને કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવે એવી શક્યતાઓ વધી ગઇ છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ)ના તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર "યાસીન ભટકલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે જો અમે નરેન્દ્ર મોદી સુધી પહોંચવામાં સફળ રહ્યા તો સમગ્ર દુનિયામાં અમારા સમર્થકોની સંખ્યા વધી જશે. આ સાથે અમને ખૂબ પૈસા પણ મળશે."
ભટકલે એનઆઇએના અધિકારીઓને એમ પણ જણાવ્યું કે અમારા હિટ લિસ્ટમાં પહેલાથી દસમા ક્રમે એક માત્ર નરેન્દ્ર મોદીનું જ નામ છે. કોઇ પણ રેલી દરમિયાન નરેન્દ્ર મોદી પર આતંકવાદી હુમલો થઇ શકે છે. ત્યાર બાદ બીજા એટલે કે 11મા ક્રમે ભાજપાના જ અન્ય નેતા લાલ કૃષ્ણ અડવાણીનું નામ છે.
ભટકલે એમ પણ જણાવ્યું કે અમે મુંબઇમાં 26/11ના હુમલા બાદ વિદેશોથી ખૂબ ફંડ મળ્યું હતું. આથી હવે જો અમે મોદીને નિશાન બનાવવામાં સફળ રહીશું તો તેનાથી પણ વધારે ફંડ મળશે. જે અમારા માટે વધારે ઉપયોગી સાબિત થશે.