નરેન્દ્ર મોદી તમિલનાડુમાં : જયલલિતાએ કર્યો ભાજપ પર પ્રહાર
ચેન્નાઇ, 14 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુમાં લોકસભા ચૂંટણી 2014 માટે સાથી ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા ચેન્નાઇ પહોંચે તેના થોડા કલાકો પહેલા જ એઆઇએડીએમકેના મહાસચિવ અને તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતાએ ઇચ્છા ન હોવા છતાં આ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપ સામે શાબ્દિક પ્રહાર કર્યો છે.
ભાજપની આગેવાનીવાળી નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ (એનડીએ)ના ઘટક પક્ષ હોવા છતાં જયલલિતાએ ભાજપ પર કરેલા હુમલાને કારણે અનેક અટકળોને વેગ મળ્યો છે. સાથે આવનારા સમયમાં રાજકારણના સમીકરણો બદલાવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઇ છે.
રવિવારે કરૂરમાં એક ચૂંટણી સભામાં બોલતા જયલલિતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને કાવેરી જળ વિવાદ મુદ્દે ભીંસમાં લેતા જણાવ્યું કે મતદારો એટલી ખાતરી આપજો કે કોંગ્રેસ અને ભાજપમાંથી એક પણ ઉમેદવારને તેમની બેઠક પરથી ડિપોઝિટ પણ પાછી ના મળી શકે.

ઉલ્લેખનીય છે કે જયલલિતાએ અગાઉ નક્કી કર્યું હતું કે તેઓ કાવેરી જળ વિવાદ મુદ્દે ભાજપ પર પ્રહારો કરવાનું ટાળશે. આમ છતાં અનિચ્છાએ પણ જયલલિતાએ કાવેરી જળ વિવાદ, રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી છે.
જયલલિતાનું આક્રમક વલણ અનેક બાબતોનું પરિણામ છે. ડીએમકેને બે ઇસ્લામિક પાર્ટીનું સમર્થન મળ્યું છે. જ્યારે મોદીની આગેવાનીમાં એનડીએ આવું સમર્થન મેળવી શક્યું નથી. વર્તમાન સમયમાં એઆઇએડીએમકેને મુસ્લિમોનું સમર્થન મળી રહ્યું છે. જો કે ભાજપ સાથેના જોડાણને કારણે ચૂંટણી બાદ તેની સ્થિત પર અસર પડી શકે છે. વળી, એક બિન રાજકીય મુસ્લિસ સંસ્થા ટીએનટીજે દ્વારા એઆઇએડીએમકેને સમર્થન પાછું ખેંચી લેવાતા જયલલિતાએ આ વલણ અપનાવ્યું છે.
બીજી તરફ એનડીએ દ્વારા 24 એપ્રિલે મતદાન યોજાય એ પહેલા પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીની સભાઓ ગોઠવી છે. અત્યાર સુધી જયલલિતા ડીએમકે અને તેના સાથી કોંગ્રેસને જ નિશાન બનાવતા હતા કારણ કે ભાજપ અને એનડીએ તેના સાથી પક્ષ છે જ્યારે મોદી સાથે તેમની મિત્રતા છે. જોકે મુસ્લિમોની નારાજગીથી ભાજપને ખાસ ગુમાવવાનું નહીં રહે પણ જયલલિતાને મોટો ફટકો પડી શકે છે. આથી તેમણે એનડીએ-ભાજપને નિશાન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
