નવી દિલ્હી, 19 મે : નરેન્દ્ર મોદી હિન્દુ પંચાગ મુજબ 24 મે એકાદશીના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. જ્યારે અંદાજે એક ડઝન જેટલા મંત્રીઓ તેમની સાથે અને બાકીના મંત્રીઓ 2 કે 3 જૂનના રોજ શપથ લઇ શકે છે.
ભારતના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત બે દિવસોથી દિલ્હીમાં બેઠકો યોજી તેમની સરકારના સંભવિત મંત્રી મંડળ વિશે ચર્ચા વિચારણા કરી રહયા છે. સાથો સાથ પક્ષના વરિષ્ઠ નેતાઓ એલ કે અડવાણી, અને મુરલી મનોહર જોષીની ભુમિકા અંગે પણ હાઇકમાન્ડ સાથે મોદી વાતચીત કરી રહયા છે.
આ વચ્ચે માનવામાં આવી રહયું છે કે મોદી 21 મેને બદલે 24 મે એટલે હિન્દુ કેલેન્ડર મુજબ અગીયારસના પવીત્ર દિવસે વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે જ કેબીનેટના ડઝનેક પ્રધાનો પણ શપથ લઇ શકે છે. અને ત્યારબાદ મોદી 2 કે 3 જૂનની આસપાસ તેમનું મંત્રીમંડળ વિસ્તારી શકે છે.
ભાજપની સંસદીય સમિતિ મંગળવારે બેઠક યોજીને સતાવાર રીતે મોદીની આગેવાની હેઠળ સરકાર રચવાનો પ્રસ્તાવ રજુ કરશે અને ત્યારબાદ મોદીના શપથવિધી સમારંભની તારીખ વિશે અંતીમ નિર્ણય લેવામાં આવશે.
રવિવારના મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે અલગ અલગ બેઠકો યોજી હતી આ બન્ને નેતાઓ અગાઉ પણ મોદી સામે સાર્વજનીક રીતે વિરોધ રજુ કરી ચુકયા છે. ભાજપ અને સંઘ.આ બન્ને નેતાઓને સક્રિય રાજકારણથી દુર રાખવા રાજયસભાની બેઠકનો ઓફર કરી ચુકયા હતાં જેનો બંનેએ અસ્વીકાર કર્યો હતો.
અડવાણીએ લોકસભાના સ્પીકરપદે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે આ બંધારણીય પદ મુજબ અડવાણીએ મોદીને અહેવાલ આપવાનો રહેશે નહી. બીજી તરફ મુરલી મનોહર જોશીએ નાણા અથવા તો વિદેશ મંત્રાલયનો પોર્ટફોલીયો માંગ્યો છે. જોકે પક્ષ પ્રમુખ રાજનાથસિંહ પણ મંત્રીમંડળનો ભાગ બને તેવી વરિષ્ઠ નેતાઓની ઇચ્છા છે.
નીતીન ગડકરી કદાચ રાજનાથના સ્થાને પક્ષ પ્રમુખ બની શકે છે. પણ ભાજપના એક ટોચના નેતાના જણાવ્યા પ્રમાણે ખુદ ગડકરી કેબીનેટમાં સામેલ થવા માંગે છે અને અંદરખાને તેમને નાણા મંત્રાલયનું ખાતું જોઇએ છે. આ અંગે અંતિમ નિર્ણય મોદી લેશે તેમ સુત્રોએ જણાવ્યું છે.